રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન પરથી બે વર્ષથી ફરાર ખુન કેસના આજીવન કેદની સજા પામનાર કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
અમરેલી, તા.૭: અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ અને વચગાળાની જામીન રજા પર છુટી ફરાર થયેલ પાકા કામના કેદીને બાબરા એસ.ટી.બસ સ્ટેશન પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફસ્ર્ટ ગુ.ર.નં. ૩૩૬/૨૦૦૯, ઇ.પી.કો. કલમ ૩૦૨ વિ. મુજબના ગુન્હાના કામે પોતાની પત્નીની હત્યાના ગુન્હામાં ૩ જા એડી.સેશન્સ કોર્ટ, રાજકોટ તરફથી આજીવન કેદ અને રૂ.૧૦,૦૦૦/- દંડની સજા પામનાર સંજય ગુલાબભાઇ સોલંકી, રહે.જામગઢીયા, તા.જસદણ, રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો તે દરમ્યાન ૨૧ દિવસના વચગાળાના જામીન મંજુર થયેલ હતાં અને મજકુર કેદીને તા.૨૫/૦૩/૨૦૧૭ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ ફરાર થઇ ગયેલ હતો.