ગોંડલ વેરી તળાવ નર્મદાના નીરથી ઓવરફલો
રવિવારે તળાવ વિસ્તાર સુશોભિત કરી સાંસદ અને ધારાસભ્યના હસ્તે પાણીના વધામણા થશે
ગોંડલ તા. ૭: પ્રતિ વર્ષ ઉનાળામાં ગોંડલ શહેર મહી પરીએજ યોજના આધારિત થઇ જતું હોય પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા રાજય સરકારને રજૂઆત કરાતા સરકાર દ્વારા ત્રંબાથી વેરી તળાવ સુધી લીંક-૩ પાઇપલાઇન મંજુર કરી આપી નર્મદાના નીર પહોંચાડાતા વેરી તળાવ ઓવરફલો થઇ જતાં ઇતિહાસ રચાઇ જવા પામ્યો છે. રવિવારે સાંજે ૭-૩૦ કલાકે વેરી તળાવ ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝકરીયા સહિત પાલિકા સદસ્યોની હાજરીમાં નર્મદાના નીરના વધામણા કરી આતશબાજી કરવામાં આવનાર છે.
વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝકરીયા એ જણાવ્યું હતું કે, વેરી તળાવ સાડા નવ ફૂટની ઊંડાઇ ધરાવે છે અને છેલ્લા વીસ દિવસમાં ૧૬ર એમ.સી.એફ.ટી. પાણી આવતા આજે ઓવરફલો થયું છે. વેરી તળાવ બાદ આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમ ભરવામાં આવશે અને ત્યારબાદ ભગવતપરા સંપ હેઠળ આવતા વિસ્તારમાં ત્રણ દિવસે પાણી વિતરણ શરૂ થઇ જશે. વોરા કોટડા રોડ ઉપર આવેલ રર૦ કેવી સંપ નર્મદા આધારિત હોય જેને સાત ટાકીમાં જોઇન્ટ અપાયા બાદ આ સંપની હેઠળ આવતા વિસ્તારોમાં પણ ત્રણથી ચાર દિવસે પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે.