સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

કચ્છમાં પરિણિત પ્રેમીપંખીડાનો આપઘાત

ભુજ તા.૭: ભચાઉ તાલુકાના લલિયાણા ગામની સીમમાં આવેલી વાડીના પતરાના શેડના લોખંડના એંગલમાં દોરડું બાંધી પરિણિત પ્રેમીપંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગુરૂવારે સવારે વાડી માલીક વાડીએ પહોચે ત્યારે આપઘાતનો મામલો સામે આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં સામખિયાળી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે.

ભાવનાબેન રણછોડભાઇ ચાવડા (આહીર) (ઉ.વ.૨૦,રહે.જંગી) અને રણછોડ કાના આહીર (ઉ.વ.૨૫, લલિયાણા)ના નામના પરિણીત પ્રેમીયુગલે એક નહીં થઇ શકવાની દહેશત વચ્ચે બૂધવારે સાથે મરવાનો નિર્ણય કર્યો હતો.

દરમિયાન પ્રેમીયુગલ લીલીયાણા ગામની સીમમાં વાલજીભાઇ ભારાભાઇ આહીરની વાડીએ પહોંચ્યો હતો. જ્યાં પતરાની ઓરડીમાં લોખંડના એંગલ સાથે એક દોરડું બાંધી પ્રેમીયુગલે સજોડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે ગુરૂવારે સવારે વાડીએ પહોંચેલા વાલજીભાઇએ પતરાની ઓરડીમાં યુવક અને યુવતીના મૃતદેહ લટકતા નજરે પડ્યા હતા.

તેને આ અંગે સામખિયાળી પોલીસમાં જાણ કરી હતી. જેથી દોડી આવેલી પોલીસની તપાસના અંતે મૃતક ભાવના અને રણછોડ વચ્ચે પ્રેમ સંબધ હતો. આ સંબંધ સમાજ નહીં સ્વીકારે તેવી દહેશત વચ્ચે બંનેએ અંતિમ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું. મૃતક રણછોડના ૩ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક દીકરી છે. તો ભાવનાના પણ એક વર્ષ અગાઉ અન્યત્ર લગ્ન થયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(12:09 pm IST)