ભુજના અજરખપુરના ૨ લાપત્તા બાળકમાંથી એક બાળકનો ગામની ઝાડીમાંથી મૃતદેહ મળ્યો : બાળકી ગંભીર
ભુજઃ ભુજ તાલુકાના અજરખપુર ગામે ગઈકાલે ભેદી રીતે લાપત્તા થઈ ગયેલાં પિતરાઈ ભાઈ-બહેનના કિસ્સામાં ખુબજ દુઃખદ વાત સામે આવી છે. ગામના સીમાડે આવેલી ઝાડીઓમાંથી સાડા ત્રણ વર્ષના લાપત્તા દાનીયાલ ઈસ્માઈલ ખત્રીનો મૃતદેહ મળ્યો છે. તો નજીકમાંથી અઢી વર્ષની બાળકી રૂબાબા આદમ ખત્રી જીવિત પરંતુ ગંભીર હાલતમાં મળી આવી છે. રૂબાબાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આજે સવારે બંને બાળકોનો ઝાડીઓમાંથી પત્તો પત્તો લાગ્યો હતો.
ઘટના અંગે જાણ થતાં ભુજ ડીવાયએસપી એન.વી.પટેલ સહિત પોલીસના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડીવાયએસપી એન.વી.પટેલે જણાવ્યું હતું કે, દાનીયાલના મૃતદેહ પર બાહ્ય ઈજાના કોઈ નિશાન જણાતાં નથી. બંને બાળકો ગામના સીમાડે આવેલી ઝાડીમાં કેવી રીતે પહોંચ્યા અને દાનીયાલનું કેવી રીતે મોત નીપજ્યું અથવા કોણે તેની હત્યા કરી તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ બાબતે કચ્છમાં ભારે ખળભળાટ સર્જ્યો છે.