સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જીવનની જીજીવિષા અને મક્કમ મનોબળ સાથે ૮૦ વર્ષ વટાવી ચુકેલા કચ્છના વૃધ્ધ દંપતીએ કોરોનાને હંફાવ્યો

અદાણી જી.કે.જનરલ કોવિડ હોસ્પિટલમાં સ્ટાફની સઘન સારવાર અને લાગણીશીલ વર્તન થકી સ્વસ્થ થઈ કોરોનાને હરાવ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૭: જીવન જીવવાની જીજીવિષા, દ્રઢ મનોબળ અને થોડો લાગણીનો સહારો મળી રહે ને, તો વ્યકિતને કોઈ પણ ઉંમરે મોત સામે જીતતા રોકી શકાય નહીં તેવું સાર્થક કરી બતાવ્યું છે ૮૦ વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ!! જે હમણાજ ભુજની અદાણી જી.કે.જનરલ કોવિડ હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર લઇ ઘેર પાછા ફર્યા છે.

૮૬ વર્ષીય બાંભણિયા શંભુભાઈ અને તેમના પત્ની ૮૪ વર્ષીય બાંભણીયા વાલીબેન કોરોનાની ઝપેટમાં આવી ગયા અને થોડા જ સમયમાં તેમની હાલત જ વધુ સિરિયસ થતા ભુજ ખાતેની અદાણી જી.કે.જનરલ કોવિડ હોસ્પિટલમાં તેમને એડમીટ કરવામાં આવ્યા હતા. જયાં તેમની ૧૫ દિવસની સઘન સારવાર, નર્સ અને તબીબી સ્ટાફ ના લાગણીશીલ વર્તન તેમજ તેમની સારસંભાળ ના કારણે આ દંપતી સ્વસ્થ થઈ પોતાના ઘરે પાછા ફર્યા

ઘરે પાછા આવી પોતાનો અનુભવ વર્ણવતાં તેઓ જણાવે છે કે ત્યાંના ડોકટર્સની સારવાર બહુ જ સારી છે તેમનો સ્ટાફ પણ એટલો જ લાગણીશીલ અને સારસંભાળ રાખનારો છે. અમારી સારવાર હોસ્પિટલના નર્સ વંદનાબેન અને નિધીબેન કરતા હતા. તેમણે ખૂબ જ સારી રીતે અમારું ધ્યાન રાખ્યું અને જયારે અમારા પરિવારનું કોઈ અમારી પાસે નહોતું ત્યારે તેમણે જ એક દીકરીની જેમ અમારી સેવા કરી છે. વધુમાં તેઓ જણાવે છે કે ત્યાં દર્દીઓની ખૂબ જ સાર-સંભાળ રાખવામાં આવે છે સવારે ચા-નાસ્તો,દૂધ અને પાણીની બોટલ તો બપોરે જમવામાં દાળ-ભાત શાક અને રોટલી આપવામાં આવે છે રાત્રે ખીચડી,દૂધ વગેરે પૌષ્ટિક આહાર આહાર આપવામાં આવે.અને એક વસ્તુ તો અમે નજરે જોઈ છે કે જે પેશન્ટની હાલત ચાલવા જેવી ન હોય તેમને હાથનો સહારો દઈને નર્સ અને અન્ય સ્ટાફ બાથરૂમ લઈ જતા. આમ તેઓ એક પરિવારના સભ્યની જેમ જ દર્દીઓની સારસંભાળ રાખે છે અને બસ એ સારસંભાળ થકી જ અમે આજે સંપુર્ણ સ્વસ્થ થઇ ઘેર પાછા ફર્યા છીએ.

(11:38 am IST)