ગોંડલના દેરડી (કુંભાજી)માં વિસાવળીયા પરિવાર દ્વારા દિવંગતોની પુણ્યતિથિએ વિવિધ કેમ્પ યોજાયા
મોવિયા તા.૭ : સ્વ.શંભુભાઇ હીરાભાઇ વિસાવળીયા તથા પુરીબેન શંભુભાઇ વિસાવળીયાની પુણ્યતિથિએ પરિવાર તરફથી તથા નાગરદાસ ધનજીભાઇ સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલી તથા જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત રાજકોટ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ રાજકોટના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ તેમજ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ તેમજ દંતયજ્ઞ કેમ્પ તથા કાન-નાક-ગળાના રોગોનો કેમ્પ સહિત વિવિધ કેમ્પ લેઉવા પટેલ સમાજ દેરડી કુંભાજી ખાતે યોજાયા હતા.
આ નિઃશુલ્ક કેમ્પમાં નેત્ર નિદાનના પ૧૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૪૦ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરાયા હતા અને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ. ત્રણ દર્દીઓના વેલના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ૬૩ દર્દીઓને નાક, કાન, ગળાની સારવાર અને દવા આપી હતી. ૭૩ દાંતના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
આ ચર્તુવિધ કેમ્પ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો હતો.
જેમાં ડો.ભરત વ્યાસ, ડો.જગમાલ ઘુસર તેમજ સુદર્શન નેત્રાલયના ડોકટર અને સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી સારવાર આપી માનવ સેવા કરી હતી.
આ કેમ્પનો દેરડી કુંભાજી ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુલ ૯૦૦થી વધુ પીડીતોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમની સાથે સાથે લેઉવા પટેલ સમાજ દેરડી કુંભાજીને દાન આપનારા વિદેશ રહેતા (એનઆરઆઇ દાતાઓ), દાતાઓના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને તેમને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. આ કેમ્પમાં આવેલા તમામને વિસાવળીયા પરિવાર તરફથી ચા-પાણી-નાસ્તો તેમજ બપોરે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ.
સફળ બનાવવા શિક્ષક મિત્રો તથા બહેનો તેમજ યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.