સરધાર શીતલાપરામાં બહાદુરભાઇ મકવાણાનો ગળાફાંસો ખાઇ આપઘાત
રાજકોટ તા. ૭ :.. સરધારમાં શીતલાપરા રપ વારીયામાં રહેતા મુસ્લીમ યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ સરધાર શીતલાપરા રપ વારીયા કવાર્ટરમાં રહેતા બહાદુરભાઇ કાસમભાઇ મકવાણા (ઉ.૩૦) નામના યુવાને પોતાના ઘરે લોખંડના એંગલના હુકમાં ઇલેકટ્રીક વાયર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની ઘરે આવ્યા ત્યારે પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો બોલાવતા તેના ભાઇ અને પાડોશીઓ એકઠા થઇ ગયા હતાં.
અને જાણ કરતા ૧૦૮ ના ઇએમટી રાજૂભાઇ બાંભણીયા એ પાઇલોટ મનીષભાઇ ગોંડલીયાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતાં પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મનહરસિંહ એન. રાઇટર કલ્પેશભાઇએ તપાસ આદરી છે. મૃતક બહાદુરભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજા નંબરના હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ આદરી છે.