વાંકાનેરમાં પ્રાથમિક શાળા પાસે વીજ ટ્રાન્સફોર્મરના થાંભલામાં જોખમરૂપ ખૂલ્લી ફયુઝની પેટી
(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૬: જીનપરા ગૌશાળા રોડ ઉપર શ્રી પાર્થધ્વજ હનુમાનજી મંદિર અને શ્રી સરસ્વતી શકિત પ્રાથમિક શાળાની નજીક ટ્રાન્સફોર્મરવાળા થાંભલામાં મેઇન રોડ ઉપર હેવી ફયુઝ પેટીને ઢાંકણું તો નથી, આ ફયુઝ પણ બંધ કર્યા વગરનો છે.
આ ખુલ્લી ફયુઝ પેટીને લઇને અકસ્માતનો ભય પણ સેવાય રહ્યો છે. મંદિર અને શાળા બાજુમાં હોય શાળામાં રીસેશ દરમ્યાન નાના-નાના બાળ વિદ્યાર્થીઓ અહીં રમતા હોય છે. આ ઉપરાંત આ થાંભલા પાસે આ વિસ્તારના રહીશો કચરો પણ નાખતા હોય જેના કારણે ગૌવંશ સહીત અબોલ જીવો પણ આવતા હોય છે. કયારેક શોર્ટ સર્કિટ થશે કે કોઇને શોર્ટ લાગશે તો જવાબદારી કોની? તેવો પ્રશ્ન આ વિસ્તારમાં પુછાય છે.
શહેરના મોટા ભાગના ટી.સી.(ટ્રાન્સફોરમ) વાળા થાંભલા આડે લોખંડની ફેનસીંગ બનાવેલી જોવા મળે છે પરંતુ આ ટી.સીવાળા થાંભલાને ફેનસીંગ તો નથી ઉપરાંત મોટા ફયુઝની પેટી પણ ખુલ્લી અને ફયુઝ પણ ખુલ્લા છે. આ વિસ્તારના રહીશ કોળી જ્ઞાતિના અગ્રણી ભીખાલાલ બી.મકવાણાએ ૧૦ દિવસ પહેલા વાંકાનેરના પી.જી.વી.સી.એલમાં ફોન કરી આ ખુલ્લી ફયુઝ પેટી અંગે જાણ કરી હોવા છતા સ્થાનિક કચેરીના અધિકારીઓ કે કર્મચારીઓએ આ ફયુઝ પેટીને બંધ કરવાની તસ્દી લીધી નથી.
વીજ અધીકારીઓ તાત્કાલીક આ સ્થળનું નિરીક્ષણ કરી ફયુઝ પેટી બંધ કરે અને ટી.સી.ના થાંભલા ફરતે લોખંડની ફેનસીંગથી પેક કરે તેવી માંગણી ભીખાલાલ મકવાણાએ કરી છે.