સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

દ્વારકા જિલ્લાના વિદેશથી આવેલા વીસ મુસાફરો કવોરોન્ટાઈન

તમામના કોવિડ રિપોર્ટ નેગેટિવ, તંત્ર દ્વારા કાર્યવાહી

જામ ખંભાળિયા, તા.૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાડોશી જિલ્લા જામનગરમાં એમિક્રોન વાયરસનો એક કેસ નોંધાયા બાદ બંને જિલ્લા સાથે રાજયભરમાં આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે.ખંભાળિયા તાલુકામાં સાત, કલ્યાણપુર તાલુકામાં સાત, ભાણવડ તાલુકામાં પાંચ તથા દ્વારકા તાલુકામાં એક મુસાફર વિદેશથી યાત્રા કરીને પરત આવ્યા છે. આ તમામ વીસ મુસાફરો અંગે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી મેળવી તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંગે જાહેર થયેલી વિગત મુજબ ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ ૧૧ હાઈ રિસ્ક કન્ટ્રી  પૈકીના એક પણ દેશમાંથી આ મુસાફરો આવ્યા નથી. નાઈજીરિયા, કતાર જેવા દેશોમાંથી અહીં આવેલા આ મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.  તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ વ્યકિતઓને ચૌદ દિવસ માટે કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

(11:51 am IST)