જુનાગઢમાં વિજતારમાં લંગરીયું નાંખતી વખતે દાઝી ગયેલી વણકર નવોઢા દક્ષાની જિંદગી ઓલવાઇ ગઇ
વિજતારમાં છેડો ભરાવતી હતી ત્યારે હાથમાં રાખેલો દિવો છટકતાં ભડકો થતાં દાઝીગઇ હતીઃ સાત દિવસની સારવારને અંતે રાજકોટમાં દમ તોડ્યોઃ સોલંકી પરિવારમાં શોક
રાજકોટ તા. ૬: જુનાગઢમાં બિલખા રોડ પર આંબેડકરનગરમાં રહેતી દક્ષાબેન રાકેશ સોલંકી (ઉ.૨૩) નામની વણકર નવોઢા દિવો પડતાં ભડકો થતાં દાઝી ગઇ હતી. સાત દિવસની સારવારને અંતે રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ દક્ષાબેન ૨૮/૧૧ના રોજ રાત્રીના અગિયારેક વાગ્યે દાઝી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિથી બુધવારે સવારે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. ત્યાં સારવાર દરમિયાન ગત સાંજે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. દક્ષાબેનના લગ્ન આઠ માસ પહેલા જ થયા હતાં. પતિ છુટક મજૂરી કરે છે. દક્ષાબેનના માવતર જુનાગઢમાં જ રહે છે અને પિતાનું નામ રમેશભાઇ ડોડીયા છે.
દક્ષાબેનને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી ત્યારે પોલીસની પ્રાથમિક પુછતાછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે વિજતારમાં લંગર નાંખ્યું હોઇ તેનો છેડો હલી જતાં લાઇટ ગુલ થતાં દક્ષાબેન હાથમાં દિવો રાખી છેડો ભરાવવા ગઇ હતી. ત્યારે દિવો છટકીને પડતાં ભડકો થતાં દાઝી ગઇ હતી. નવોઢાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જુનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.