પિતાને મિચ્છામિ દુકકડમનો છેલ્લો સંદેશઃ કચ્છી જૈન પરિણીતાનો આપઘાત
મુંબઈમાં ફેશન ડિઝાઈનર પરિણીતાએ ૧૦ માં માળેથી મારી મોતની છલાંગ ગણપતિબાપા મને તેડવા આવ્યા છે, એવું લખીને છેલ્લી સુસાઇડ નોટ પિતા, ભાઈ અને મિત્રોને મોબાઈલ ઉપર મોકલાવ્યા બાદ ઝંપલાવ્યું, સાસરિયાના ઘર કંકાસમાં એક યુવતીના અરમાન રોળાયા
ભુજ,તા.૬: પરિણીત જીવન દરમ્યાન સાસરિયામાં નાની મોટી વાતોની જીદ, ઝઘડા,અહમ અને મનદુઃખના કારણે કેટલીય યુવતીઓના અરમાન રોળાઈ જતાં તેઓ પોતાના જીવનની આહુતિ આપીને જિંદગીથી મોં ફેરવી લે છે. તાજેતરમાં જ રાપરની કચ્છી પટેલ પરિણીતાએ મુંબઈના થાણે માં બે બાળકોને ગળે ફાંસો આપીને પોતે આત્મહત્યા કરી લીધી હોવાનો દુઃખદ બનાવ હજી તાજો જ છે ત્યાં મુંબઈમાં વધુ એક કચ્છી પરિણીતાએ આપદ્યાત કરી લેતાં કચ્છી સમાજમાં અરેરાટી છવાઈ છે. મુંબઈના બોરીવલી વેસ્ટ મધ્યે કાર્ટર રોડ ઉપર આવેલી જય ચામુંડા નામની બહુમાળી બિલ્ડીંગના ૧૦ માં માળેથી ૨૫ વર્ષીય પરિણીતા નિશા મિતેશ ગંગરે મંગળવારે પર્યુષણ પર્વના દિવસે જ મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.
ફેશન ડિઝાઈનર નિશાના લગ્ન બે વર્ષ પહેલાં જુલાઈ ૨૦૧૭ માં કેમિકલ ઈજનેર મિતેશ ગંગર સાથે થયા હતા. ૨૫ વર્ષીય નિશાએ મિચ્છામિ દુક્કડમનો છેલ્લો મેસેજ પોતાના પિતા પ્રફુલ્લભાઈ મોરારજી મામણિયાને કર્યો હતો. તેના પિતા વતન કચ્છમાં હોઈ તેઓ પુત્રીના આત્મહત્યાના સમાચાર સાંભળીને વતન મુન્દ્રાના કપાયા ગામેથી રવાના થઈને બુધવારે મુંબઈ પહોંચ્યા ત્યારે મુંબઈમાં ભારે વરસાદ હતો. એટલે ગઈકાલે ગુરુવારે તેમણે પુત્રી નિશા ના પતિ મિતેશ, સસરા લક્ષ્મીચંદ ગંગર તેમ જ સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. નિશાએ આત્મહત્યા કરતા પહેલા છેલ્લી સુસાઇડ નોટ પિતા, ભાઈ અને મિત્રોને મોબાઈલ ઉપર મોકલી હતી. વતન કચ્છના કપાયા ગામે પુત્રી નિશાનો સવારે મિચ્છામિ દુક્કડમ નો અંતિમ સંદેશ મળ્યા બાદ બપોરે સુસાઇડ નોટનો મેસેજ આવ્યો હતો, જેમાં નિશાએ પોતાના સાસુ, સસરા અને પતિના ત્રાસનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, અલગ રહેવા માટે સસરિયાવાળા પતિ પત્ની પાસેથી બે કરોડ રૂપિયા માંગે છે.
મને ઘરમાં કોઈ ચાહતું નથી. મને વર્ષમાં માત્ર એક જ વાર માવતરે જવાનું કહેવાયું છે. હું તમારી પાસે આવી જવાની હતી પણ હવે મને ગણપતિબાપા બોલાવે છે. આ મેસેજ નોંધીને બોરીવલી પોલીસે નિશાના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. મૃતક યુવતી નિશાના પરિવારજનો મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના કપાયા ગામના છે અને હાલે હુબલી કર્ણાટક રહે છે. જયારે સાસરિયા માંડવી તાલુકાના ગોધરા ગામના છે અને મુંબઈ બોરીવલી રહે છે. બન્ને પતિ પત્ની ઉચ્ચ શિક્ષિત હોવા છતાંયે આત્મહત્યાની બનેલી આ દ્યટનાએ કચ્છી જૈન સમાજમાં અરેરાટી સાથે ચિંતા અને ચર્ચા સર્જી છે.