અયોધ્યામાં શ્રી રામ મંદિર ભૂમિપૂજન પ્રસંગે
સોમનાથ પ્રથમ જયોતિર્લિંગ ખાતે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો હર્ષભેર યોજાયા
સોમનાથઃ શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૧૧:૦૦ વાગ્યે શ્રી હનુમાન ચાલિસાના પાઠ તેમજ બપોરે ૧રઃ૧પ વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન સોમનાથજીની મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ શ્રીરામ જય રામ જય જય રામના મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માન. ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પી. કે. લહેરી સાહેબ પણ ડીઝીટલ માધ્યમથી વિડીયો કોલીંગથી ઇ-પૂજા સંકલ્પમાં જોડાયા હતા. સાંજે ૪-૩૦ વાગ્યાથી ટ્રસ્ટના રામ મંદિર ખાતે વેરાવળના સુંદરકાંડ ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠ તેમજ સાંજના સમયે દિવડાઓથી મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મંદિરમાં પણ ભગવાનને દીપમાળા તેમજ મંદિરને રોશની કરવામાં આવી હતી. રાત્રિના ૯:૦૦ વાગ્યે અમદાવાદના સુરીલી સરગમ ગ્રુપ દ્વારા શ્રી રામ સંકીર્તન (ટ્રસ્ટના સોશ્યલ મીડીયામાં લાઇવ) કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
આ તમામ કાર્યક્રમો ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ફેસબુક, ટવીટર અને યુ-ટયુબ પરથી લાઇવ કરવામાં આવ્યા હતા.