કોટડાસાંગાણીમાં એસ.ટી.ડ્રાઇવરોની મનમાની સામે રોષઃ બસ સ્ટેન્ડને બદલે બારોબારથી રવાના
કોટડાસાંગાણી, તા.૬: બસ સ્ટેન્ડ પર અનેક વખત ડ્રાઈવરો મનમાની ચલાવી બસ સ્ટેન્ડ લઈ આવ્યા વીના બારોબાર હંકારી મુકતાની ફરિયાદો ઉઠી છે.
કોટડાસાંગાણી રૂટને જોઈએ તેટલા પ્રમાણમા બસો ફાળવાતી નથી જેના કારણે મુસાફરોને કલાકો સુધી બસની રાહ જોઈને બેસવાનો વારો આવે છે. તેમા પણ અનેક વખત ગોંડલ તરફથી આવતી બસોના ડ્રાઈવરો દ્વારા સરદાર ચોકથી બસને બસ સ્ટેન્ડ લાવતા નથી અને ડાઈરેકટ સરધાર માર્ગે હંકારી મુકતા હોવાથી જેના કારણે બસની કાગડોળે રાહ જોઈને બેસતા મુસાફરોને કલાકો સુધી બસ સ્ટેન્ડમાંજ પડ્યા રહેવાનો વારો આવે છે. અને અંતે ના છુટકે પ્રાઈવેટ વાહનો બંધાવીને ડબલ ભાડામા મુસાફરી કરવાની ફરજ પડે છે. ગરીબ વર્ગના લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકિ ભોગવવી પડે છે.સોમવારના રોજ સાંજે સાત વાગે કોટડાસાંગાણી પહોંચતી ગોંડલ ભાડલા રૂટની બસ, બસ સ્ટેશનમાં લઇ આવાને બદલે બારોબાર સરધાર તરફ હંકારી મુકતા વીસથી વધુ આ બસની રાહ જોઈને બેઠેલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા. સાથે અમુક ડ્રાઈવરો દ્વારા કોટડાસાંગાણીની સાંકડી બજારોમા પણ બસ ધીમે હંકાવાને બદલે બેફિકરાઈથી બસ ચલાવાતા હોવાથી અકસ્માત ખતરો સતત મંડળાતો રહે છે જે મામલે એસ ટીના અધિકારીઓ દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.