કલ્યાણપુરના દેવળીયામાં છગન આહિરની હત્યા
હથિયારના ઘા ઝીંકી દીધાઃ એક ડફેર શખ્સ સહિતનાની સંડોવણી હોવાનું પ્રાથમિક તારણ : દારૂ પીવાની બાબતમાં ડખ્ખો ?
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે આજે સવારે એક આહિર યુવાનની લાશ મળતા ભારે ચકચાર જાગી છે.
સવારે રસ્તા પર દર્શન કરવા નીકળેલા એક ગ્રામજને આ લાશ પડી હોવાની જાણ કરતા ખંભાળીયા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા એલ.સી.બી. પી.આઇ. જે.એમ.ચાવડા તેમની ટીમ સાથે દોડી ગયા હતા.
મરણ જનાર છગનભાઇ વરૂ નામનો ૨૮ વર્ષનો આહિર યુવાન હોવાનું ખુલ્યું છે જેની હત્યા ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.
હત્યામાં એક ડફેર શખ્સની સંડોવણી હોય તેનું પગેરૂ મેળવવા માટે એલ.સી.બી., એલ.ઓ.જી. તથા ડીવાયએસપી કચેરીના સ્ટાફે તપાસ હાથ ધરી છે તથા કેટલીક ટુકડીઓ બનાવીને પકડવા કાર્યવાહી કરી છે. હત્યાના પ્રકરણના કારણ બાબતે હજુ કંઇ જાણવા મળેલ નથી પણ દારૂ પીવાની બાબતમાં કંઇક થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.