કોડીનારમાં હોળી અને શબે બરાત પર્વ નિમિતે શાંતિ સમિતિની મિટિંગ મળી
(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૬: ગીર સોમનાથ પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ આજે કોડીનાર પોલીસ સ્ટેશનમાં આવનારા હોળી અને શબે બરાત પર્વ નિમિતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારના પી.આઈ.આર.એ.ભોજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી શાંતિ સમિતિની મિટિંગમાં પી.આઈ.ભોજાણીએ આવનારા હોળી ધુળેટી અને શબે બરાત ના તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવાની અપીલ કરતા કોડીનારના હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણીઓ એ હોળી ધુળેટી અને શબે બરાતનો તહેવાર ભાઈચારા અને કોમી એકતા સાથે શાંતિપૂર્ણ રીતે ઊજવવા તંત્રને સહકારની ખાત્રી આપી હતી. મિટિંગમાં પી.આઈ.આર.એ.ભોજાણીએ હિન્દૂ મુસ્લિમ આગેવાનો પાસેથી બંન્ને તહેવારોની ઉજવણી અંગે માહિતી મેળવી તહેવારો નિમિતે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવા ખાતરી આપી હતી. તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી. આ શાંતિ સમિતિની મિટિંગમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરીકાકા વિઠલાણી, શહેર ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર, ચંદુભાઈ આસર, હાજી રફીકભાઈ જુણેજા,ગુજરાત લઘુમતી મોરચાના ઉપ પ્રમુખ જીશાનભાઈ નકવી, સૈયદ અવેશ બાપુ કાદરી, રમેશભાઈ બજાજ, કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ કે.સી.ઉપાધ્યાય, રામભાઈ વાઢેલ, એહમદભાઈ બેલીમ સહિત પત્રકાર મિત્રો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.