જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો સાધુ-સંતો માટે જ યોજાશેઃ ભાવિકોને ન આવવા અપીલ
અધિક કલેકટર, ડીવાયએસપી તથા સંતો-મહંતોની બેઠકમાં નિર્ણયઃ સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં
તસ્વીરમાં સંતો-મહંતો અને અધિકારીઓ નજરે પડે છે(તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૬ :. કોરોના મહામારીના કારણે તંત્ર દ્વારા આ વખતે જૂનાગઢ ખાતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. જેની સામે સંતોએ મેળો યોજવા માંગણી કરતા હવે ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો માત્ર સાધુ-સંતો માટે જ યોજાશે અને ભાવિકોને મેળામાં ન આવવા સાધુ-સંતો અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવશે.
આજે ભવનાથ મંદિર ખાતે મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ, ભવનાથ મંદિરના મહંત હરીગીરીજી મહારાજ, જયશ્રીકાનદગીરીજી, પૂ. ઈન્દ્રભારતીબાપુ, પૂ. હરીહરાનંદભારતીજી, પૂ. મહાદેવભારતીબાપુ, ઋષિભારતીબાપુ તેમજ અધિક કલેકટરશ્રી બારીયા તેમજ અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતનાની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી.
આ મીટીંગમાં અગાઉ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ભવનાથ ખાતે શિવરાત્રી મેળો સાધુ-સંતો માટે જ યોજાશે. મેળામાં ભાવિકોને નહી આવવા સંતો અને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.(૨-૨૨)