વિકાસ હજુ ડેડરવા રોડ સુધી નથી પહોંચ્યો ?
ચાર વર્ષથી બે ફૂટના ખાડાની રજૂઆત કોઇ કાને લેતું નથી !
જેતલસર તા. ૬ : જેતલસરના ડેડરવા રોડની હાલત અતિ બિસ્માર બની ચુકી છે,પરંતુ આર. એન.બી. અધિકારી આંખ આડા કાન કરીને કોઈ પણ પગલાં લેવા તૈયાર થતા નથી. જેતલસર થી આશરે છથી સાત ગામને જોડતો રોડ હોય અને દિવસ દરમિયાન ઘણા વાહનોનું પરિવહન ચાલી રહેતું હોવાથી સ્થાનિક લોકો અને રાજકીય હોદેદારો એ તંત્રને ઘણી આશા સાથે ફરિયાદ કરી હતી પરંતુ તંત્ર જાણે પોતાની નિષ્ક્રિયતા છોડવા નથી માગતું તેમ કોઇ જાતની કાર્યવાહી કરતું નથી.
થોડા સમય પહેલા સ્થાનિક લોકો આર.એન.બી. ઓફિસર વત્સલ પટેલ પાસે ગયા હતા. અને રોડ રસ્તા નવા ન કંડારો તો થિંગળા તો મારો જેવી રજુઆત કરી હતી ત્યારે કોન્ટ્રાકટ એજન્સી ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો હતો.પરંતુ કોન્ટ્રાકટ એજન્સી પણ નિષ્ક્રિય રીતે વર્તી રહી છે. હવે વાહન ચાલકો ફરિયાદ નહીં કરી એવી સ્વીકૃતિ કરી છે કે કમરના કટકા કરીને પણ આ રોડ રસ્તા પર ચાલવું પડશે.તંત્ર આંધળું કોન્ટ્રાકટ એજન્સી બેરી કોણ કોને ચલાવે તેવી સ્થિતિ જેતપુર આર.એન.બી તંત્રની છે. હવે સ્થાનિક લોકો તથા આજુ બાજુના છ સાત ગામ લોકોમાં તંત્ર પ્રત્યે નિરાશા છવાઇ છે.