મોરબી વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ગામ નજીક નવી આરટીઓ કચેરી પાસે કાર પલટી મારી જતા યુવાનનું મોત
નવી આરટીઓ કચેરી પાસે કાર લોખંડ રેલીંગ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ
મોરબી વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં જાંબુડિયા ગામ નજીક આવેલ નવી આરટીઓ કચેરી પાસે કાર લોખંડ રેલીંગ સાથે અથડાયા બાદ પલટી મારી જતા કાર ચાલક યુવાનનું મોત થયું હતું
વાંકાનેરના વાંકિયા ગામના રહેવાસી અજીતભાઈ બીજલભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૩ ફેબ્રુઆરીના રોજ ફરિયાદી અજીતભાઈ, તેના મિત્ર પ્રકાશ બાબુભાઈ ઝાલા, કૌટુંબિક સાળો ગીરીશભાઈ લાલજીભાઈ પરમાર તેની સાથે સુપરવાઈઝર તરીકે કામ કરતો મુકેશ ઉર્ફે લાલો મોહન વારેવાડિયા રહે મકનસર વાળો એમ ચારેય મકનસર ખાતે કૃષ્ણવિજય નામના નળિયાના કારખાનામાં ભેગા થયા હતા અને બાદમાં ગીરીશભાઈ મોરબી નજીક આવેલ સિરામિક સિટીમાં કામ હોય જેથી સ્વીફ્ટ કાર જીજે ૦૩ એચકે ૪૭૨૫ લઈને સિરામિક સીટી ગયા હતા અને કામ પૂરું કરીને બાદમાં મકનસર ખાતે જવા નીકળ્યા હોય ત્યારે કાર ગીરીશભાઈ ચલાવતા હતા અને પ્રકાશભાઈ ઝાલા તેની બાજુમાં બેઠા હતા તેમજ ફરિયાદી અજીત અને મુકેશ વારેવાડિયા પાછળ બેઠા હતા જે કાર લાલપર ગામથી આગળ નવી આરટીઓ કચેરી પાસે પહોંચતા વણાંક આવતા કારને કાવું મારતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર લોખંડ રેલીંગ સાથે ભટકાઈ હતી અને રેલીંગ તોડીને પલટી ખાઈ જતા સર્વિસ રોડ પર આવી ગઈ હતી
જે અકસ્માતમાં ગીરીશભાઈને ગંભીર ઈજા પહોંચતા ફરિયાદીના કૌટુંબિક સાળા ગીરીશભાઈ લાલજીભાઈ પરમાર રહે મકનસર વાળાનું અકસ્માતમાં અવસાન થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.