સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th February 2021

જામનગરની ચીટર ગેંગનો ભોગ બનેલા પ૪ આસામીઓ દ્વારા રાજકોટની સ્પે. ગુજસીટોક કોર્ટમાં થયેલ ફરીયાદ

પોલીસે યોગ્ય કલમ હેઠળ ગુનો નહિ નોંધતા ભોગ બનનારાઓએ કોર્ટમાં ફરીયાદ કરી

જામનગર, તા., ૬: જામનગરમાં રોકાણના બહાને મની ટ્રેડીંગના ધંધાર્થી  એવા ધબ્બા પરીવારના ચાર સભ્યો સહીતની ટોળકીએ જામનગરના જ છ નિવૃત આર્મીમેન સહીત પ૪ લોકોના આશરે ૧૪ કરોડ જેટલા નાણા હજમ કરી લીધા પછી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હળવી કલમનો ગુનો લીધો હોવાથી તમામ આસામીઓ નારાજ થઇને તેમના વકીલ મારફતે રાજકોટની સ્પેશ્યલ અદાલત સમક્ષ ગુજસીટોકની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી છે.

જામનગરના બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેન રણવીર પ્રતાપસિંહ સુધાકરસિંહ દરબારે જામનગરના અંબર સિનેમા રોડ પર મની ટ્રેડીંગનો વ્યવસાય કરતા હિરેન મહેન્દ્રભાઇ ધબ્બા તથા અને તેમના પરીવાર દ્વારા ચલાવવામાં આવતી ઓમ ટ્રેડીંગ કંપની નામની પેઢીમાં રોકાણ  કર્યુ હતું અને પોતાની કારકીર્દી દરમિયાન ગ્રેચ્યુઇટીની એકત્ર થયેલી ૩૬ લાખ જેટલી રકમ રોકાણ માટે જમા કરાવી હતી.

રાજયમાં ગુજસીટોક તળે કોર્ટમાં પ્રથમ ફરીયાદ

તેઓની સાથે અન્ય પાંચ નિવૃત આર્મીમેન જોડાયા હતાં. જયારે શહેરના જુદા જુદા કુલ  પ૪ જેટલા વ્યકિતઓએ અંદાજે રૂપિયા ૧૪ કરોડનું રોકાણ કર્યુ હતું. શરૂઆતમાં રોકાણકારોને થોડો નફો આપ્યો હતો. ત્યાર પછી નફો અથવા તો મુળ રકમ આપવાનું માંડી વાળ્યુ હતું. અને ઓફીસને પણ તાળા મારી દીધા હતાં. અને નાણા ચુકવવામાં હાથ ખંખેરી લીધા હતાં. જે સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યા હતો. પરંતુ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં હળવી  કલમ હેઠળ નો તમામ નવ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જે પૈકી ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. અને બાકીના ભાગતા ફરે છે.

સાથો સાથે તેઓ પાસેથી માત્ર અઢી લાખ જેટલી રકમની ચીજ વસ્તુઓ કબજે કરવામાં આવી છે. પરંતુ આરોપીઓ પાસેથી વસુલાત થાય તેવા કોઇ અણસાર નહી હોવાથી તેમજ મની સકર્યુલેશન અંગે ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવો જોઇએ તેવી પ્રક્રિયા થઇ ન હોવાના કારણે તમામ આસામીઓએ પોતાના એડવોકેટ મારફતે રાજકોટની સ્પેશ્યલ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા અને હિરેન મહેન્દ્રભાઇ ધબ્બા અને તેના પરીવારના મહેન્દ્ર જમનાદાસ ધબ્બા, આશાબેન હિરેનભાઇ ધબ્બા, ઉપરાંત ઓફીસનું કામ સંભળતા હસમુખસિંહ જીતુભા પરમાર, તોસીફ બશીરભાઇ શેખ, સંગીતાબેન મેઘરાજભાઇ લાલવાણી, પ્રવીણ ચનાભાઇ ઝાલા, નવીન  નાનજીભાઇ વાઘેલા તેમજ અન્ય તપાસમાં જે ખુલે તે તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળની ફરીયાદ નોંધાવતા રાજકોટની સ્પેશ્યલ અદાલતે ફરીયાદ નોંધી છે અને તેની સુનાવણી હાથ ધરી છે.

જે સમગ્ર મામલે જામનગરના ધારાશાસ્ત્રી દ્વારા દલીલો કરવામાં આવી હતી અને તેઓ દ્વારા અનેક પુરાવાઓ એકત્ર કરીને કેસની સાથે જોડયા છે. આવનારા દિવસોમાં આ પ્રકરણમાં અદાલત દ્વારા શું કાર્યવાહી થઇ રહી છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. સમગ્ર રાજયભરમાં ગુજસીટોક અંગેનો અદાલતમાં સીધો સૌ પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સ્પેશ્યલ અદાલતમાં ફરીયાદના પગલે

ચાર આરોપીઓની જામીન અરજીની સુનાવણી મોકુફ

જામનગર, તા., ૬ : જામનગરમાં પ૪ થી વધુ લોકોના ૧૪ કરોડથી વધુ ના નાણાં રોકાણના બહાને મેળવી લીધા પછી હાથ ખંખેરી લેવા અંગેના પ્રકરણમાં ૪ આરોપીઓની ધરપકડ કરી હતી., અને જેલ હવાલે કરાયા હતાં. આ આરોપીની જામીન અરજીની સુનાવણી મોકૂફ રહી છે.

આ કેસના આરોપીઓ દ્વારા પોતાને જામીન પર મુકત કરવા માટેની અરજી કરવામાં આવી હતી. જેની આજે જામનગરની અદાલતમાં સુનાવણી હાથ ધરાતા ચારેય આરોપીઓ કે જેઓ સામે ગુજસીટોક અંગેની ફરીયાદ થઇ છે.  જેથી તેઓને હાલના કેસમાં જામીન પર મુકત કરવામાં ન આવે તેવી રજુઆત સાથેની દલીલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગરની અદાલતે ચારેય આરોપીઓની સુનાવણી હાલ પુરતી મોકૂફ રાખી છે અને વધુ સુનાવણી હવે પછી સોમવારે હાથ ધરાશે.

(11:28 am IST)