સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th February 2018

રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં NCPના ૩૧ ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ માન્ય

ખોટા સોગંધનામાને લઇ ફોર્મ રદ કરવાની ભાજપ દ્વારા ઉગ્ર માગણીઃ અટકી ગયેલ ફોર્મ ચકાસણી કામગીરી સાંજે શરૂ થયેલ : ઉગ્ર બોલાચાલી દરમિયાન પ્રાંત અધિકારીને લો-બીપી થઇ જતા કામગીરી અટકી ગયેલઃ પોરબંદર સારવારમાં

પોરબંદર તા.૬: રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી માટે ગઇકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા  એનસીપીના ૩૧ ઉમેદવારોના ફોર્મ સાથેના સોગંધનામા ખોટા હોવાનું જણાવીને ફોર્મ રદ કરવાની માગણી કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે

મામલતદાર કચેરીએ આગેવાનો દ્વારા ઉહાપો મચી જતા સમયે પ્રાંત અધિકારીનું લોબી.પી.થઇ જતાં તેમને પોરબંદર સારવાર માટે ખસેડાયેલ હતા. અને ફોર્મ ચકાસણી કામગીરી અટકી પડી હતી આ કામગીરી ફરી સાંજે શરૂ થયેલ અને ચકાસણીમાં એનસીપીના ૩૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા અન્ય ૫ ફોર્મ ૨દ થયેલ હતા.

ભાજપ આગેવાનોના વાંધા મુજબ એનસીપીના ઉમેદવારોએ લાયસન્સ રીન્યુ ન થયું હોય તેવા નોટરી પાસે સોગાંધનામા કરાવેલ હોય, ઉમેદવારી ફોર્મ રદ કરવાની માગણી ઉઠાવી હતી. મામલતદાર કચેરીએ મામલો ઉગ્રા બની જતા ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા સહિત આગેવાનો દોડી ગયેલ હતો.

ઉમેદવારી ફોર્મ રદ કરવાની ઉગ્ર માગણી દરમિયાન પ્રાંત અધિકારીને લો-બી.પી.થઇ જતાં તેમને પોરબંદર સારવાર માટે ખસેડાયેલ છે.ફોર્મ ચકાસણીની કામગીરી અટકી ગયેલ હતી જે સાંજે ફરી ચાલુ કરવામાં આવી હતી.

(1:04 pm IST)