કાગવડ - ખોડલધામથી શ્રી સોમનાથ મહાદેવ મંદિરની નરેશભાઇ પટેલ દ્વારા પદયાત્રા : શુક્રવારે પ્રથમ જ્યોર્તિલિંગને ધ્વજારોહણ
વિરપુર (જલારામ) :શ્રી ખોડલધામના પ્રણેતા અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમના સુપુત્ર શિવરાજભાઈ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કાલે સવારે કાગવડ શ્રી ખોડલધામ મંદિરથી સોમનાથ સુધી પદયાત્રા શરૂ કરી હતી. કાલે તા.૪ થી તા.૮ જાન્યુઆરી સુધી ખોડલધામથી સોમનાથ સુધીની પદયાત્રા યોજાયેલ છે જેમાં ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ તેમના સુપુત્ર શિવરાજભાઈ સહિતના ટ્રસ્ટીઓ કાલે સવારે કાગવડ શ્રી ખોડલધામ મંદિરે માઁ ખોડલના દર્શન કરી પગપાળા ચાલીને સોમનાથ જવા માટે નીકળ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ સોમનાથ મહાદેવના ઉપાસક શિવભકત છે અને તેઓની આ ત્રીજી પદયાત્રા છે. આ પદયાત્રામાં ખોડલધામના ટ્રસ્ટીઓ પણ જોડાયા છે ત્યારે જેતપુર પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા નરેશભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વધુમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે ૮ જાન્યુઆરી સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરી ધ્વજા રોહણ કરી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરશે. (તસ્વીર - અહેવાલ : કિશન મોરબીયા, વિરપુર - જલારામ)