માળીયા પાસે નીલગાય આડે ઉતરતા કાર પુલ સાથે અથડાતા રાજકોટની મહિલાનું મોત
મૃતક સાત દિવસથી સારવારમાં હતા, પતિએ જ સર્જયો અકસ્માત
(વિનુ જોષી) જૂનાગઢ તા. ૫ : માળીયા પાસે નીલગાય આડે ઉતરતા કાર પુલ સાથે અથડાતા રાજકોટના મહિલાનું તેના પતિની નજર સામે જ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ અકસ્માતની વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના પીપળવા ગામના વતની અને રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સુખસાગર સોસાયટીમાં રહેતા માલદેભાઇ લાખાભાઇ સોલંકી અને તેના પત્ની જસીબેન (ઉ.૩૬) સાથે ગત તા. ૨૬-૧૧ના રોજ તેમની જીજે૦૩-જેએલ-૪૩૯૧ નંબરની કારમાં તેમના ગામ તરફ જઇ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં માળીયાના પાણીધ્રા ગામના પાટીયાથી રામવાવના પાટીયા વચ્ચે નીલગાય (રોઝડુ) કાર આડે ઉતરતા તેને બચાવવામાં માલદેભાઇએ કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
જેના કારણે કાર પુલના ડિવાઇડર સાથે અથડાતા માલદેભાઇને પગમાં ફ્રેકચર થયેલ અને પત્ની જસીબેનને માથામાં ગંભીર ઇજા થઇ હતી.
જસીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં ગઇકાલે સાંજે માળીયા પોલીસે મૃતક મહિલાના પતિ માલદે સોલંકી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એએસઆઇ વાય.એન.વાળા ચલાવી રહ્યા છે.