મોરબીની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી અને ફાયર પહોંચ્યુ પરંતુ ટાંકો જ ખાલી હતો
ફાયર વિભાગ મોકડ્રીલ કરવા પહોંચ્યુ પરંતુ : પાણીનો ટાંકો જ ખાલી હોવાનું ખુલ્યું
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫: રાજકોટની હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ ગઈ હોય જે દુર્ઘટના બાદ સમગ્ર રાજયમાં ફાયર એનઓસી ચેકિંગ સહિતના નાટકો ભજવવામાં આવ્યા છે એટલું જ નહિ આજે ફાયર ટીમ મોરબી સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રીલ માટે પણ પહોંચી હતી જોકે ફાયર ટીમે પાણીનો મારો ચલાવવા લાઈન ચાલુ કરી તો પાણી જ ના આવતા ઘોર બેદરકારી સામે આવી હતી.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં આગ જેવી દુર્ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે ફાયર ટીમની મોકડ્રીલ અને ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું ફાયરના જવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આગ જેવી ઘટનાઓને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ તેનું પ્રેકટીકલ ડેમો બતાવવામાં આવ્યો હતો આગ લાગે ત્યારે પાણીનો મારો ચલાવવો, આગ બુઝાવવા માટેના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે સમજાવવા પ્રયાસ કરાયો હતો જોકે પાણીનો મારો ચલાવવા લાઈન ચાલુ કરતા પાણી જ આવ્યું ના હતું આગ બુઝાવી સકે એટલું તો ઠીક પરંતુ બાલ્ટી માંડ ભરી સકાય તેવું ધીમી ધારે પાણી આવ્યું હતું જેથી હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી હતી અને જો ખરેખર આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોય તો જોવા જેવી થઇ હોત તેમાં શંકાને સ્થાન નથી
તો સિવિલ હોસ્પિટલમાં પાણીની લાઈન ચાલુ કરી પરંતુ પાણી ટાંકામાં પાણી જ ના હોવાનું ખુલ્યું હતું અને હોસ્પિટલ સ્ટાફે પાણી ભરી બાદમાં ડેમોસ્ટ્રેશન કર્યું હતું ત્યારે જો ખરેખર દુર્ઘટના સર્જાઈ હોય તો તેનું જવાબદાર કોણ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તો ભોપાળું ખુલ્યા બાદ હવે હોસ્પિટલ દ્વારા વપરાશ માટે એક જ પાણીનો ટાંકો રાખ્યો હોય ફાયર માટે બીજા ટાંકાની વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યું હતું.