સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જુનાગઢના ભવનાથમાં જુના અખાડાના સાધુનો ગોળી મારીને આપઘાત

પોતાની જ રિવોલ્વરમાંથી કેવલગીરી ગુરૂ કમલગીરીએ આત્માહત્યા કરતા અરેરાટી

જુનાગઢ તા. પ : જુનાગઢના ભવનાથમાં જુના અખાડાના એક સાધુએ રિવોલ્વરમાંથી પોતાને ગોળી મારી આપઘાત કર્યો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્ત થયેથી પ્રાથમિક વિગતો એવી છે કે, જુનાગઢના ભવનાથ ખાતે આવેલ જુના અખાડાના કેવલગીરી ગુરૂ કમલગીરી (ઉ.પપ) નામના સાધુનો લોહીથી લથપથ મૃતદેહ આજે સવારે મળી આવતા હલચલ મચી ગઇ હતી.

આ અંગેની જાણ થતા એસપી સૌરભ સિંઘ સહિતના પોલીસ અધિકારીઓ અને ભવનાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને પ્રાથમિક તપાસમાં કેવલગીરી ગુરૂ કમલગીરીનો રિવોલ્વરમાંથી ગોળી છોડીને આપઘાત કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક સાધુએ પોતાના ગળાના  ભાગે રિવોલ્વરમાંથી ગોળી ધરબીને આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી અને મૃતક સાધુ પાસેની રિવોલ્વર પરવાના વાળી છે કે કેમ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)