સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જામનગર જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૩૧ દર્દીઓ સારવારમાં

જામનગર, તા. પ : મહા વાવઝોડાને લઈને કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તેવામાં પાણીજન્ય રોગચાળો ગણાતો ડેંગ્યુનો રોગચાળો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હાલ પણ જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ગઈકાલની સ્થિતિએ ૩૧ દર્દીઓ ડેંગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૨૯ જેટલા દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો સામે આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ કેળવવા માટે ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છટકાવ કરવાની કામગીરી આરંભાઈ છે. જામનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શેરી મહોલ્લાઓમાં ઘેર-ઘેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જઈ રહ્યા છે અને આરોગ્યની ટીમ દ્વારા ફોગીગ કરી ડેંગ્યુના રોગચાળામાં સાવચેતી રાખવા અંગે પત્રિકાઓ આપી ચેકીંગ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખુલ્લામાં પડેલા ટાયરોમાં મચ્છરોના ઉપદ્રવ દ્યટાડવા પણ આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:13 pm IST)