હર્ષદ રીબડીયા કાલે સી.આર. પાટીલના હસ્તે કેસરીયા કરશે
જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જીલ્લામાંથી વધુને વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં જોડવા કવાયત
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૫ : ગઈકાલે દશેરાની પૂર્વ સંધ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યના નિવાસસ્થાને રૂબરૂ જઈ વિસાવદર-ભેસાણ મતક્ષેત્રના ધારાસભ્ય તરીકે રાજીનામુ ધરી દેનાર હર્ષદભાઈ રિબડીયા તથા આ વિસ્તારના આગેવાનો-કાર્યકરો આવતીકાલે તા.૬ ગુરૂવારના રોજ કમલમ્ ખાતે કેસરિયા કરશે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરશે તેવું અત્યંત વિશ્વાસપાત્ર વર્તુળોમાથી જાણવા મળે છે.
હર્ષદભાઈ રિબડીયા સતત વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્ર તથા જૂનાગઢ જિલ્લાના આગેવાનો-કાર્યકરોના સંપર્કમા છે અને આજે સાંજ સુધીમા અમદાવાદ-ગાંધીનગર પહોંચી જવાનુ કહેણ મોકલાઈ રહ્યાનુ બહાર આવ્યુ છે.
હર્ષદભાઈ રિબડીયાને જૂનાગઢ-ગીર સોમનાથ-અમરેલી જિલ્લાના વધુમા વધુ આગેવાનો-કાર્યકરોને ભાજપમા જોડવાનુ કહેવાયાનુ પણ છડેચોક બોલાઇ રહ્યુ છે ત્યારે કાલે કોણ કોણ કેસરિયા કરે છે..? એ તરફ સૌની મીટ મંડાઈ છે.