જુનાગઢ મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે ભવનાથમાં બનાવેલ કુંડ ખુલ્લો મુકાયો
સંત શેરનાથબાપુ, પૂ.ઇન્દ્રભારતીબાપુ તથા મેયર ધીરૂભાઇ ગોહેલ, મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતી
જુનાગઢ તા. પ : મહાનગરપાલીકા દ્વારા ભવનાથ સ્થિત ઇન્દ્રભારતીજીનાં ગેઇટ પાસે ગણેશ મુર્તિ વિર્સજન માટે કુંડ બનાવેલ છે. જેનું સંત શેરનાથબાપુ દ્વારા કળશ પુજન કરવામાં આવેલ તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશનર તુષાર સુમેરા, ડે. હિમાંશુભાઇ પંડયા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ ધુલશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઇ પટોળીયા, કોર્પોરેટર પુનીતભાઇ શર્મા, પૂ.ઇન્દ્રભારતીબાપુ ઉપસ્થિતીમાં કુંડ ખુલ્લો મુકવામાં આવેલ છે.
શહેરમાં અનેક સ્થળે ગણેશ સ્થાપના કરવામાં આવેલ છે. ગણેશ મુર્તિ વિસર્જન માટે લોકોની ધાર્મિક લાગણીને ધ્યાને લઇ મુર્ગી કુંડ, નારણધરો ત્રણેય પાણી આ કુંડમાં નાખવામાં આવેલ છે. આ કુંડને આજરોજ ખુલ્લો મુકેલ છે. તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરીજનોને ગણેશ મુર્તિ અન્ય સ્થળોએ વિસર્જન ન કરવા તથા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કુંડમાં મુર્તિ વિસર્જન કરવા અપીલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં નાયબ કાર્યપાલક ઇજનેર રાજુભાઇ કુછડીયા, ઇજનેર હિતેષભાઇ વામજા, હાઉસટેકસ સુપ્રી.ઉમેદસિંહ સોલંકી, સ્ટોરકિપર ભરતભાઇ મુરબીયા, ફાયર સુપ્રિ. ભૌમીતભાઇ મીસ્ત્રી વગેરે અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.