રાજુલાના પીપાવાવધામમાં ઉપવાસ આંદોલનના ૪૧ દિ' : ૨ મહિલાની તબિયત લથડી
અમરેલી તા. ૫ : રાજુલા તાલુકાનાં દરિયકાંઠા વિસ્તારના પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૪૧ દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તથા જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ, સાર્દુળભાઈ શિયાળ સહિત પાંચ લોકો છેલ્લા ર૯ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે.
જીલ્લા કલેકટર ઘ્વારા શરતભંગની નોટિસોમાં ચાંચ જીલ્લા પંચાયતનાં ભાજપના સદસ્ય રેખાબેન કમલેશભાઈ મકવાણા તથા તેમના પરિવારના સભ્યોનાં નામ આવ્યા બાદ તંત્ર કેટલા દિવસમાં કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું તેમજ ૪૦ દિવસ બાદ ભાજપના નેતાઓના નામ બહાર આવ્યા અત્યાર સુધી સરકારી તંત્ર આ નેતાઓને છાવરી રહી હતી અને ગામના ગરબ લોકોને નિશાને બનાવી રહી હતી.
આંદોલનકારી અશોકભાઈ ભાલીયા, ભાણાભાઈ ગુજરીયા અજયભાઈ શિયાળ, ગાંગાભાઈ હડિયા ઘ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી કે, જે રાજકીય માથાઓના નામો શરતભંગમાં બહાર આવ્યા છે તેના ઘ્વારા પેશકદમી પણ કરવામાં આવી છે. આ અંગે થર્ડ પાર્ટી સર્વે કરવામાં અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામ લોકોને વહેલતકે ન્યાય આપવામાં આવે તેમજ ગામનાં લોકોની આર્થિક પરિસ્થિતિ અતિ દયનીય હોય ટંકનું લાવી ટંકનું ખાતા હોય આવી પરિસ્થિતિમાં પણ લોકો ન્યાય માટે ઝઝુમી રહ્યા છે.
સરકાર ઘ્વારા આવા પરિવારોને સરકારી નિયમો મુજબ રોજગારી ચુકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. ઉપવાસ આંદોલન દરમિયાન ઉપવાસી મહિલા સોમલબેન ગુજરીયા અને મંગુબેન ધાપાની તબીયત લથડતા એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.(૨૧.૨૩)