કચ્છમાં ૮૦ ગૌવંશ કેન્સરની બિમારીના સકંજામાં
મુન્દ્રા તાલુકામાં મુંગા પશુઓ ભોગવી રહ્યા છે 'કાળી સજા' : તો પશુઓનુ અસ્તિત્વ નામશેષ થઇ જશે
ભુજ તા. ૫ : એ અત્યારે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે,અને તેની બાજુ માં છે તે 'કોમા'માં છે, બસ હવે તેઓ મોત તરફ આગળ ધપી રહયા છે. ડચકાં ખાતી ગૌમાતા ઓ ને નિહાળી ને દ્રવી ઉઠેલા આપણા હૃદય નો ધબકારો હજી શાંત થાય ત્યાંજ કાળજું કંપાવી મૂકે તેવી માહિતી આપતા પ્રકાશ રાજગોર ભારે સુરે અને ઝળઝળિયાં ભર્યા શબ્દો માં કહે છે કે આવા એક બે નહીં પણ ૭૦ થી ૮૦ જેટલા ગૌવંશ કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની ને મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે.જો કે એક કચ્છી માડું તરીકે આના પછી ની વાસ્તવિકતા વધુ હૃદયદ્રાવક અને આપણને વિચારતા કરી મૂકે તેવી છે.આ વાત અને સ્થળ છે એન્કરવાલા અહિંસાધામ,પ્રાગપુર રોડ, મુન્દ્રા ની !!!ઙ્ગ
જો આવું ને આવું ચાલશે તો મુન્દ્રા તાલુકા માં પશુઓ નું અસ્તિત્વ ધીરે ધીરે નામશેષ થતું જશે.વિશ્વ પર્યાવરણ દિવસે ઔદ્યોગિક વિકાસ તરફ આગળ વધતા કચ્છ જિલ્લાનું આ કડવું સત્ય છે અને પર્યાવરણના બદલાવની શરૂઆત થઈ ચૂકી છે,એન્કરવાલા અહિંસાધામ ના સીઈઓ ગીરીશભાઈ નાગડા સાથે વાત નો તંતુ સાધતા દર્દભર્યા સૂરે કહે છે કે અત્યારે મુન્દ્રા તાલુકા ના પશુઓ માં જીવલેણ રોગો ઉપરાંત વાહનવ્યવહાર વધ્યો છે જેના કારણે અકસ્માતો વધતા અપંગતા વધી છે.અહીં સરેરાશ દરરોજ ના ૭ થી ૮ ઓપરેશન થાય છે. અપંગ પશુઓ ની સંખ્યા પણ ૩૫૦ જેટલી છે. જોકે સૌથી વધુ ચિંતાજનક હકીકત પશુઓ નું આયુષ્ય ઘટી ગયું છે. જે ગાય.બળદ નું આયુષ્ય ૨૮ થી ૩૦ વર્ષ નું હતું તે હવે માંડ ૧૫ થી ૧૮ વર્ષ નું રહ્યું છે.આ વાત પોતે અભ્યાસ અને અનુભવ ના આધારે કહે છે એવું કહેતાં ગીરીશભાઈ આના જે કારણો આપે છે તે સરકાર અને જીવદયાપ્રેમીઓ ને ખળભળાવી દે તેવા છે.
અત્યારે મુન્દ્રા તાલુકા ના મૂંગા પશુઓ 'કાળી સજા' ભોગવી રહ્યા છે.. હા 'કાળી સજા' !!! આપણાં ઔદ્યોગિક કરણ ની દોડ નો ભોગ ગૌવંશ બન્યો છે.અહીં કોક ફેકટરી, કોલસા આધારિત થર્મલ પ્લાન્ટસ, લોખંડ ના મોટા મોટા પાઇપ અને સળિયા બનાવતી ફેકટરી, ચાઇના કલેનું પેકેજીંગ ઉપરાંત ખાદ્યતેલની ફેકટરીઓ આવેલી છે. આ બધાજ મહાકાય યુનિટો છે.તેમનું ચીમની દ્વારા હવા માં છોડાતું પ્રદુષણ જમીન ઉપર વવાતા ઘાસચારા ને પ્રદુષિત કરે છે. ઉદ્યોગો દ્વારા નદી નાળાઓ માં છોડાતું પ્રદુષિત કદડા વાળું પાણી પશુઓ પીવે છે. તેની સીધી જ અસર પશુઓ મા દેખાઈ રહી છે. પશુઓ ધીરે ધીરે મોતના મુખ તરફ ધકેલાઈ રહ્યા છે. કતલખાના વગર જ ઔદ્યોગિક કરણ પશુઓના મોતનું કારણ બન્યું છે.
ગીરીશભાઈ કહે છે કે આજુબાજુના ગામોની ગાયો નદીઓ નું પ્રદુષિત પાણી પીવે છે,કાળી મેશ ના કારણે પ્રદુષિત થતો જે ઘાસચારો ખાય છે તેના કારણે ગાયો નું દૂધ પણ પ્રદુષિત થતાં તેની સીધી અસર લોકો ના સ્વાસ્શય ઉપર પડી છે કચ્છમાં વધી રહેલા કેન્સર અને કિડની ના રોગો શું દર્શાવે છે ? ચીમની માંથી નીકળતી ઝીણી કાળી રાખ ના કારણે શ્વાસ અને દમ ના દર્દીઓ વધ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસે આ વાત માત્ર સરકાર અને જીવદયાપ્રેમીઓ ને જાગૃત કરવા પૂરતી જ સીમિત નથી આપણે સૌએ પણ વિચારવાની જરૂરત છે. નહીં તો શું થશે ? એ કલ્પના થથરાવી મૂકે તેવી છે પશુપાલન અને ખેતી જ નહીં ટકે તો લોકો માટે હિજરત સિવાય કોઈ વિકલ્પ જ નહીં રહે.