ટંકારામાં જુના મનદુઃખને લીધે સશસ્ત્ર હુમલોઃ મુસ્લિમ પરિવારના ૭ ઘવાયા
હનીફ અલાણા, સલિમ, અલ્તાફ સહિતના ૭ શખ્સો તલવાર, ધારીયા, પાઇપથી તૂટી પડ્યા
રાજકોટ તા. ૫: ટંકારામાં બે મહિના પહેલા મુસ્લિમ તરૂણને એક મુસ્લિમ યુવાને કારણ વગર મારકુટ કરી હોઇ તે બાબતે ચાલતાં મનદુઃખને કારણે ગત સાંજે ફરીથી તલવાર-ધારીયા-પાઇપથી હુમલો કરવામાં આવતાં છ લોકોને ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઘાયલ થયેલા લોકોમાં ટંકારામાં રહેતાં ઇબ્રાહીમભાઇ ઇસાભાઇ અબાણી (ઉ.૬૦), તેમના મામા સુલેમાનભાઇ મુસાભાઇ સમા (ઉ.૭૫), હનીફ મોહમ્મદભાઇ અબાણી (ઉ.૩૮), હાસમ ઇબ્રાહીમભાઇ અબાણી (ઉ.૨૫), મહદભાઇ મુસાભાઇ અબાણી (ઉ.૬૫) તથા ગફાર ઇબ્રાહીમભાઇ અબાણી (ઉ.૨૮)નો સમાવેશ થાય છે. આ તમામને ટંકારા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. ઇબ્રાહીમભાઇના કહેવા મુજબ બે મહિના પહેલા હાસમભાઇના દિકરા સોહિલ (ઉ.૧૪)ને હનીફ અલાણાએ કારણવગર મારકુટ કરી લીધી હતી. ત્યારથી તેની સાથે મનદુઃખ હતું. પરમ દિવસે મારી દિકરીની સગાઇ હતી ત્યારે હનીફ ધોકો લઇને આટા ફેરા કરતો હતો. આ બાબતે ગઇકાલે સાંજે તેને સમજાવવા માટે બધા ભેગા થતાં અચાનક જ હનીફ અલાણા, સલિમ, અલ્તાફ ગફારભાઇ સહિતના સાતેક શખ્સોએ તલવાર-પાઇપ-ધારીયાથી હુમલો કર્યો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)