મૃતકનો મિત્ર હજુ લાપતાઃ વિસાવદરના પ દિવસથી ગુમ એસટીના ડ્રાઇવરની લાશ મળી
ભટ્ટ વાવડી ગામના વાડીના કુવામાંથી મૃતદેહ મળતા પીએમ માટે જામનગર મોકલાયો
જુનાગઢ તા.પઃ વિસાવદર પાંચ દિવસથી ગુમ એસટીના ડ્રાઇવરની લાશ ભટ્ટ વાવડી ગામના વાડીના કુવામાંથી મળતા અરેરાટ મચી ગઇ છે. બીજી તરફ મૃતકનો મિત્ર હજુ લાપતા હોવાનું જાણવા મળ્યુ છે.
વિસાવદરમાં ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં રહેતા એસટીના ડ્રાઇવર સુભાષભાઇ દયાશંકર દવે (ઉ.વ.૩પ) નામના મિત્ર ગત તા.૩૧ ડિસેમ્બરના રોજ તેમના મિત્ર સાથે ગયા હતા. અને આ પછી તેઓ ઘરે પરત નહી ફરતા પરિવારજનોએ પોલીસને જાણ કરી અને શોધખોળ હાથ ધરી હતી.
દરમ્યાનમાં વિસાવદર તાલુકાના ભટ્ટ વાવડી ગામના ગોવિંદ દુદાભાઇ કાંકરેચાની વાડીના કુવામાં માનવ લાશ હોવાની જાણ થતા વિસાવદરના પીઆઇ એચ.યુ.રાઠોડ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને કુવામાંથી મૃતદેહને બહાર કાઢયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક સુભાષ દવે હોવાનું જણાયુ હતુ અને તેમનું મૃત્યુ પાંચ દિવસ અગાઉ થયુ હોય મૃતદેહ અત્યંત કોહવાય ગયો હતો. આથી લાશને પોસ્ટ મોર્ટમ માટે જામનગર ખાતે મોકલી આપી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
બીજી તરફ મરનાર સુભાષભાઇના મિત્ર હજુ લાપતા હોવાનું જાણવા મળેલ છે.(૭.૨૧)