જામકંડોરણામાં ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદન : જામકંડોરણા તા.ને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી સહાય ચુકવવા માંગ
જામકંડોરણા તા.૪: જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા તાલુકાના કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેશાઇની આગેવાની નીચે મુખ્યમંત્રીશ્રી તેમજ રાજકોટ જીલ્લા કલેકટરશ્રીને ઉદેશીને જામકંડોરણા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી તાત્કાલીક સહાય ચુકવવાની માંગ સાથે જામકંડોરણા મામલતદારશ્રીને આવેદનપત્રમાં જણાવેલ છે કે મગફળીના તૈયાર થયેલ પાથરા ખેતરમાં પલળી ગયા હોવાથી મોંઘાભાવનો ઢોરનો ઘાસચારો બગડી ગયેલ છે. જેનાથી ખેડુતોને માલઢોર માટે નીરણની ખુબજ મુશ્કેલી પડે તેમ છે તેમજ શિયાળુ પાક લેવા માટે પાણી છે પરંતુ વાવેતરનું બિયારણ લેવા માટે ખેડુતો પાસે પૈસા નથી તેના અભાવે વાવેતર કરવામાં મુશ્કેલી પડે તેમ છે. જેથી તાત્કાલીક વળતર ચુકવવાની માંગ છે.
તેમજ મગફળી પલળી ગયેલ હોવાથી તેની ગુણવતા નબળી પડી ગયેલ છે જેથી તેને વેંચવામાં તકલીફ પડતી હોવાથી ટેકાના ભાવે ખરીદીમાં ખેડુતોના હિતમાં થોડીઘણી છુટછાટ આપવા અને ખેડુતને થયેલ નુકશાન માટે વીમા કંપનીને જાણ કરવાનો સમય ૭ર કલાકનો છે જેથી ખેડુતો પહોંચી ન શકે અને ઘણીવાર ફોન પણ લાગતો નથી તેના નિવારણ માટે ગ્રામ પંચાયતમાં વી.સી.ને આ કામગીરી સોંપવામાં આવી તેવી માંગ પણ કરેલ છે. આ આવેદનપત્ર આપતી વેળાએ જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘના હોદ્દેદારો તેમજ ખેડુતોએ હાજરી આપી હતી.