સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

પિરોટન ટાપુ પરના રગેશ્વર મહાદેવના મંદિરમાં રૂદ્રાભિષેક કરવા મંજૂરી આપો :હિન્દુ સેનાએ આપ્યું કલેક્ટરને આવેદન

ટાપુ પરની દરગાહમાં લોબાન, ચાદર ચડાવવા જઇ શકાય તો મહાદેવને જલાભિષેક માટે કેમ નહી ?

પિરોટન ટાપુ પર આવેલા પ્રગેશ્વર મહાદેવના મંદિરમાં રૂદ્રાભિષેક કરવાની મંજૂરી આપવા ગુજરાત હિન્દુ સેનાએ માંગણી કરી છે. ટાપુ પરની દરગાહમાં લોબાન કે ચાદર ચડાવવા માટે શ્રધ્ધાળુ જઇ શકતા હોય તો મહાદેવને જલાભિષેક કરવા કેમ ન જઇ શકે ? તે અંગે કલેકટરને આવેદન પાઠવ્યું છે.

ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે જણાવ્યું છે કે, અમો હિન્દુ ધર્મમાં માનતા હોઈએ અમારા દેવ મહાદેવ પ્રત્યે શ્રધ્ધા હોય અમો 10 વ્યકિત પિરોટન ટાપુ ઉપર શ્રાવણ માસ નિમિતે પ્રગટેશ્ર્વર મહાદેવના મંદિરે તા.16-08-2021ને સોમવારે રૂદ્રાભિષપેક તેમજ જલાભિષેક કરવા જવા માંગીએ છીએ.

અમો ત્યાં રોકાવા માંગતા નથી. માત્ર રૂદ્રાભિષેક તેમજ જલાભિષેક કરી તુરંત જ પરત આવી જવા માટે કલેકટર તેમજ મરીન નેશનલ પાર્ક પાસે અમારા દેવ પ્રગટેશ્ર્વર મહાદેવની પુજા અર્ચના કરવા, રૂદ્રાભિષેક/જલાભિપેક કરવા જવા અમોએ પરવાનગી માગી છે.

ત્યારે છેલ્લા ઘણા સમયથી પીરોટન ટાપુ પર દરગાહ આવેલી હોય જયાં લોબાન તેમજ ચાદર ચઢાવવા જવાનું હોય છે પરંતુ હિન્દુઓના આરાધ્ય દેવ એવા પ્રગટેશ્ર્વર મહાદેવના મંદિરે જલાભિષેક કરવા પણ ન જઈ શકાતું હોય ત્યારે હિન્દુ સેનાએ સંપુર્ણ રીતે તંત્રને વાકેફ કરી યોગ્ય ચાર્જ તેમજ યોગ્ય ડોક્યુમેન્ટ્સ જમા કરાવી રૂદ્રાભિષેકની મંજૂરી માંગી છે અને જો પ્રાર્થના અર્ચના કરવા માટે જવાની પરવાનગી નહીં મળે તો નછૂટકે છૂપા રસ્તાઓથી પિરોટન ટાપુ પર પહોંચવું પડશે અને મહાદેવની માનતા પુરી કરવી પડશે.

ગુજરાત હિન્દુસેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પિરોટન ટાપુ પર રૂદ્રાભિષેક તેમજ જલાભિષેક માટેની પરવાનગી સરકારી ધારાધોરણ મુજબ માંગતા હોવા છતાં પરવાનગી ન મળતાં અંતે આ વખતના શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સેના પોતાના સૈનિકોને સાથે લઈ પ્રગટેશ્ર્વર મહાદેવના મંદિરે પ્રાર્થના અર્ચના કરવા પહોંચશે.

(1:37 pm IST)