કચ્છમાં વધુ એક રાજકીય આગેવાનને કોરોના- રાપરના ધારાસભ્યના પતિ અને કોંગી આગેવાન ભચુભાઈ આરેઠીયાને કોરોના : પટેલ અગ્રણી ભચુભાઈ નવી મુંબઈના અગ્રણી બિલ્ડર, મુંબઈથી બે સ્પેશ્યલ ટ્રેનમાં કચ્છીઓને વતનમાં લઈ આવ્યા હતા, હાલ રાપરથી ભચુભાઈને સારવાર માટે ભુજની કોવિડ હોસ્પિટલમાં લઈ અવાયા
(ભુજ) કચ્છમાં વધતાં સંક્રમણ વચ્ચે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાનો વ્યાપ હવે મોટા રાજકીય આગેવાનો સુધી વિસ્તરી રહ્યો છે. ગઈકાલે રાપરના સહકારી આગેવાન અને સામાજિક અગ્રણી વાડીલાલ ભીમશી સાવલા કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યારે સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે. તો, તેમના સંપર્કમાં આવનાર કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા જાતે જ હોમ ક્વોરેન્ટાઈન થયા છે. તે વચ્ચે આજે રાપરના વધુ એક રાજકીય આગેવાન કોરોનાથી સંક્રમિત થયા છે. રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના પતિ અને કોંગ્રેસી આગેવાન ભચુભાઈ આરેઠીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભચુભાઈએ પોતાની અસ્વસ્થ તબિયતને પગલે જાતે જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
ભચુભાઈ આરેઠીયા નવી મુંબઈના જાણીતા બિલ્ડર અને કચ્છના વાગડ વિસ્તારના પટેલ અગ્રણી છે. લોકડાઉન દરમ્યાન તેમના સક્રિય પ્રયત્નો થકી મુંબઈથી વતન કચ્છમાં બે ટ્રેન દ્વારા અનેક લોકો આવ્યા હતા. આજે સવારે ભચુભાઈને સારવાર માટે ભુજની સરકારી કોવિડ હોસ્પિટલમાં લઈ અવાયા છે.