સોમનાથના સમુદ્રમાં નહાવા પર પ્રતિબંધાત્મક આદેશ છતાં યાત્રીકોએ ન્હાવાની મોજ માણી
પ્રભાસ પાટના સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભોૈગોલિક પરિસ્થિતિથી અજાણ હોય છે, સમુદ્ર માં ન્હાવા જતા ડુબી જવાનાં બનાવો વારંવાર બનેલા છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાય છે. પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પથ્થરો છે જેથી સમુદ્રમાં ન્હાવા પડતા તેમજ પગ બોળતા દર્શનાર્થી સહેલાણીની બહાર આવી શકતાનથી.
આ વિસ્તારમાં આવતા સમુદ્રના મોજા વાકાચુકા તેમજ ઘાતક હોય છે. હાલમાં આ જગ્યાએ નવી ચોપાટીનું કામ શરૂ થયેલ છે. તેથી મોટા પથ્થરોને કારણે કોઇપણ વ્યકિત તેના પરથી લપસી શકે છે. અને સમુદ્રમાં ડુબી શકે છે અમુક કિસ્સાઓમાં અમુક વ્યકિતઓ પોતે આ પવિત્ર યાત્રાધામનાં દર્શન કરી પોતાના આત્માને મોક્ષ મળશે તેવા વિચાર ધરાવી સમુદ્રમાં પડી આત્મહત્યા કરે છે છેલ્લા ૧૦ વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા મરીન પોલીસ સ્ટેશનમાં આવા અનેક બનાવો નોંધાયેલા છે.
આવા બનાવો બનતા અટકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર. મોદીએ ફોજદારી કાર્યવાહી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સતાની રુએ સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફથી અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ-પશ્ચિવ બંને સાઇડના આશરે ૪ કિલોમીટરનાં વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઇપણ વ્યકિતએ સમુદ્રમાં નહાવા, પગ બોળવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. આ આદેશ તા. ૫/૬/૨૦૧૮થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
આ આદેશ સરકારી ફરજમાં હોય તેઓને લાગુ પડશે નહી આ હુકમ નું પાલન ન કરનાર કે મદદગારી કરનારને ગુન્હો સાબિત થયે દંડ અને શિક્ષાપાત્ર રહેશે. તસ્વીરમાં આવા આદેશોનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન થતું નજરે પડે છે.(તસ્વીર- દેવાભાઇ રાઠોેડ, પ્રભાસ પાટણ) (૧.૧)