ચોમાસુ આવી ગયું હવે તો ઉકેલ લાવો
ધોરાજીના અવેડાલેન વિસ્તારમાં ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન બે વર્ષથી અધ્ધયરતાલ
ધોરાજી તા.૪ : ધોરાજીના જેતપુર રોડ પાસે આવેલ અવેડાલેન તરીકે જાણીતા વિસ્તારમાં ચોમાસામાં પાણીના નિકાલનો પ્રશ્ન વર્ષોથી અધ્ધયરતાલ પડયો છે. રાજયનાં મુખ્યમંત્રીથી લઇને લોકસંવાદ સેતુ કાર્યક્રમ હોય તમામ કક્ષાએ રજુઆત કરી હોવા છતા આ વિસ્તારનો પ્રશ્ન હજુ અણઉકેલ પડયો છે.
ધોરાજી નગરપાલીકા વોર્ડ નં.પ ના અવેડાલેન વિસ્તારના લતાવાસીઓએ પોતાની રજુઆતમાં જણાવેલ કે ગંદાપાણીના નિકાલનો પ્રશ્ન વર્ષોથી હલ થતો નથી ચોમાસા દરમ્યાન ગંદુ પાણી ભરાઇ રહેતુ હોવાથી નિચાણવાળા મકાનોમાં પાણી ભરાઇ જવું તેમજ ગંદાપાણીના નિકાલ ન થવાથી જીવ-જંતુ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. તેમજ શેરીઓ, નદીઓ જેવુ રૂપ ધારણ કરી લે છે પરિણામે બાળકોને શાળાએ જવા કે મોટેરાઓને કામધંધે જવા માટે મુશ્કેલી વેઠવી પડે છે.
ચોમાસાના પાણી શેરીઓમાં ભરાઇ રહેવાથી ગંદવાડો ફેલાઇ છે અને લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભુ થાય છે.
આથી ધોરાજી નગરપાલીકા કે જવાબદાર તંત્ર દ્વારા લતાવસીઓનો વર્ષો જુનો ગંભીર પ્રશ્ન ઉકેલાય તેવી અવેડાલેન વિસ્તારના લતાવાસીઓની માંગણી બળવતર બની રહી છ.ે(૬.૮)