રાપરના નંદાસરની કેનાલમાં ડુબી જવાથી યુવાનનું મોત
મશીનની લાઈન ભરવા ગયેલ યુવકનો પગ લપસતાં કેનાલમાં ડૂબી ગયો
રાપર : તાલુકાના નંદાસર ગામે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનું મોત નીપજયું હતું. મશીનની લાઈન ભરવા માટે ગયેલા યુવાનનો પગ લપસતા તે કેનાલમાં પડીને ડૂબી ગયો હતો .
આ અંગે મળતી વિગત મુજબ પરના નંદાસર ગામે કેનાલમાં ડૂબી જવાથી રસાજી ગઢડાના યુવાનનું મોત નીપજયું હતું. નંદાસરના સરપંચ પતિ ચાંદાજી પ્રાગજી સમાએ આપેલી વિગતો મુજબ હતભાગીનું નામ ગોવિંદ વાલા કોલી (ઉ.વ. ર૬) હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હતભાગી યુવાન કેનાલ પર મશીનની લાઈન ભરવા માટે ગયો હતો ત્યારે પગ લપસી જતાં કેનાલમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતા સ્થાનિકો દ્વારા દોરડા વડે યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરાતા પીએસઆઈ ઝાલા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. હતભાગીના મૃતદેહને પીએમ માટે રાપર સીએચસીમાં ખસેડાયો હતો. બનાવને પગલે રસાજી ગઢડા સહીત વાગડ પંથકમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.