પોરબંદરમાં સ્થાપિત હિતોના વાંકે મુરઝાતો બારમાસી બંદરનો વિકાસ
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ : રાજય સરકાર દ્વારા બજેટમાં સોરઠના પ બંદરોમાં ફિશીંગ બોટ માટે પાર્કિંગ વ્યવસ્થા માટે કુલ ૯૭ કરોડની જોગવાઇ કરી છે.
તેમાં પોરબંદરના બંદરનો પણ સમાવેશ થાય છે. મત્સ્યોદ્યોગમાં મુખ્ય ગણાતા પોરબંદર માટે ખાસ પેકેજની બજેટમાં જાહરેાત કરવામાં આવી નથી પોરબંદર મત્સ્યોદ્યોગ ઉપરાંત વિદેશ સાથે વ્યાપારી કરારથી વર્ષોથી જોડાયેલ છે. પરંતુ કેટલાંક સ્થાપિત હિતોના વાંકે બારમાસી બંદરનો વિકાસ મુરઝાતો જાય છે. એક સમયે પોરબંદર કાંઠે વિદેશી વરાણો માલ લઇને આવતા હતાં આજે બંધ છે. અને પોરબંદરથી જળમાર્ગેથી વહાણમાં નિકાસ પણ બંધ છે. જેના કારણે દેશને કરોડોનું વિદેશી હુંડિયામણ ગુમાવવું પડે છે. એક વખતે પોરબંદરમાં પસેન્જર કમ કાર્ગો સ્ટીમર આવતી હતી જે માટે આફ્રિકા અને આરબ રાષ્ટ્ર સાથે સંકલન હતું. ઉપરાંત આંતરરાજય જળ માર્ગે મહારાષ્ટ્રના મુંબઇથી પોરબંદર- ઓખા- પોરબંદર પેસેન્જર કમ કાર્ગો સેવા અઠવાડિયામાં એક વખત નિયમિત ચાલતી હતી.
પોરબંદરનું બંદર કુદરતી સુવિધા ધરાવે છે. પરંતુ સ્થાપિત હિતોથી વિકાસમાં બ્રેક લાગી જાય છે. સાગરખેડૂ સમાજ રોજગારી માટે મત્સ્યોદ્યોગને મહત્વ આપે છે. પરંતુ પોર્ટના કોમર્શીયલ વિકાસ થાય તે પણ જરૂરી છે.