માળીયા મિંયાણાના ભાવપરના મનહરભાઇએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો'તો
ર લાખના ૪ર લાખ પડાવી લઇ વ્યાજખોર મહેશ ડાવરાએ ખેતર લખાવી લીધું'તું: પુત્રએ પોલીસમાં ફરીયાદ કરી
મોરબી, તા., ૪: માળીયા મિંયાણાના ભાવપર ગામે આઘેડને આપઘાત માટે મજબુર કરનાર વ્યાજખોર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ માળીયાના ભાવપર ગામે રહેતા શૈલેશ મનહરભાઇ ફુલતરીયાના પિતાએ ફડસર ગામે રહેતા મહેશભાઇ નારણભાઇ ડાવેરા પાસેથી ર લાખ રૂપીયા વ્યાજે લીધા હોય અને જેની પઠાણી ઉઘરાણી કરી મહેશભાઇએ મનહરભાઇ પાસેથી ઉઘરાણી પેટે ૪ર લાખ પડાવી લઇ તથા તેનું ખેતર પણ લખાવી લેતા મનહરભાઇએ વ્યાજખોરના ત્રાસથી ગઇકાલે વવાણીયા ગામ નજીક ખેતરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું.
આ મામલે મનહરભાઇના પુત્ર શૈલેશએ માળીયા પોલીસ મથકમાં મહેશ ડાવેરા વિરૂધ્ધ પિતાને આપઘાત માટે મજબુર કર્યાની ફરીયાદ નોંધાવતા માળીયા મિંયાણા પોલીસે આઇપીસી ૩૦૬ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.