કોડીનારમાં કેન્દ્ર સરકારના ખરડાના વિરોધમાં તબીબોની હડતાલ
કોડીનારઃ નેશનલ મેડીકલ કમિશન (એનએમસી) ખરડાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા તા. ૨-૧-૧૮ મંગળવારના 'બ્લેક ડે' જાહેર કરવામાં આવેલ હોય તે અંતર્ગત સમગ્ર દેશના ખાનગી દવાખાના/હોસ્પીટલો બંધ રાખવામાં આવનાર હોય, તેમા કોડીનાર મેડીકલ એસોસીએશનના તમામ તબીબોએ આ વિરોધમાં સક્રીય ભાગ લઈ આજે બંધ પાળી નેશનલ મેડીકલ કમિશન બિલનો સખ્ત વિરોધ વ્યકત કરી આ બિલ પ્રજાને લાંબા ગાળે ભારે નુકશાનકારક સાબિત થવાનું જણાવી આના થકી દર્દીની સારવાર ખૂબ જ મોંઘી થવા સાથે સારવારની ગુણવત્તા નીચી જશે. તેમજ સરકાર મેડીકલ કોલેજ પરથી નિયંત્રણ ગુમાવી દેવાની દહેશત વ્યકત કરી કોડીનારના ખાનગી ડોકટરોએ આજે બંધ પાળી સમગ્ર દેશ સાથે 'બ્લેક ડે' નિમિતે હડતાલમાં જોડાયા હતા. મેડીકલ એસોસીએશન નેશનલ મેડીકલ કમિશન બિલના વિરોધમાં હડતાલ ઉપર હોય શહેરના તમામ ખાનગી ડોકટરોએ બંધ પાળ્યુ હતું, ત્યારે કોડીનાર સરકારી દવાખાનુ, રા.ના. વાળા હોસ્પીટલ અને અંબુજા મલ્ટી હોસ્પીટલ આજે રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને દર્દીઓની સારવાર રાબેતા મુજબ ચાલુ રહી હતી (તસ્વીર-અહેવાલઃ અશોક પાઠક-કોડીનાર)