લગ્નપ્રસંગમાં ભજીયા બનાવતી વખતે ખુરશીનો પાયો તૂટ્યોઃ દાઝી જતાં નરેન્દ્રભાઇ ઠક્કરનું મોત
અંજારના કેટરર્સ સંચાલક પ્રોૈઢે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૩: ભચાઉનાવામકા ગામે ૧૩મીએ લગ્ન પ્રસંગમાં ભજીયા બનાવતી વખતે ખુરશીનો પાયો તૂટતાં ઉકળતા તેલના બકડીયા પર પડતાં અંજારમાં સતાપર રોડ સ્વામિનારાયણ નગરમાં રહેતાં કેટરર્સ સંચાલક નરેન્દ્રભાઇ મનસુખભાઇ ઠક્કર (ઉ.વ.૫૦) ગંભીર રીતે દાઝી જતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.નરેન્દ્રભાઇ કેટરર્સનું કામ કરતાં હોઇ ભચાઉના વામકા ગામે એક લગ્નપ્રસંગમાં કામ મળ્યું હોઇ ૧૩મીએ તેઓ તથા બીજા લોકો પ્રસંગમાં પહોંચ્યા હતાં. જ્યાં નરેન્દ્રભાઇ ખુરશી પર બેસીને ભજીયા બનાવતાં હતાં ત્યારે પાયો તૂટતાં અકસ્માતે ઉકળતા તેલના બકડીયા પર પડતાં દાઝી ગયા હતાં. તેમણે રાજકોટમાં સારવાર દરમિયાન ગત સાંજે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા સહિતે કાગળો કરી અંજાર પોલીસને મોકલ્યા હતાં.મૃત્યુ પામનાર નરેન્દ્રભાઇ છ ભાઇમાં મોટા અને અપરિણીત હતાં. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.