વાંકાનેરમાં જીલ્લા મધ્યાન ભોજન કર્મચારીઓનું સ્નેહ મિલન યોજાયુઃ પડતર પ્રશ્નોની ચર્ચા
વાંકાનેર તા. ૩ :.. મોરબી જીલ્લાના મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓનું સ્નેહ મીલન વાંકાનેરમાં યોજાયેલ. જેમાં મોરબી જીલ્લા ઉપરાંત જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, દ્વારકા, પોરબંદર, મહેસાણા, જામનગર, બોટાદ વિગેરે શહેર -જીલ્લાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
મધ્યાન ભોજન યોજના કર્મચારી એકતા મંચનાં કન્વીનર પિયુષ વ્યાસ, ઓલ ગુજરાત રાજય મધ્યાન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઇ જોષી, મહામંત્રી કે. કે. ઝાલા, ઉપપ્રમુખ જશવંત મહીડા, સહિતના કર્મચારી સંગઠનના હોદેદારોની ઉપસ્થિતીમાં યોજાયેલ સ્નેહ મીલન સમારંભમાં પ્રથમ મંચસ્થ અગ્રણીઓનું વાંકાનેર તાલુકા મધ્યાન ભોજન યોજનાના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, મહામંત્રી કે. કે. ઝાલા, બહાદુરસિંહ ઝાલા, વિપુલ કોટક સહિતના હોદેદારો એ શાલ અને પુષ્પહાર વડે મહેમાનોનું સન્માન કરેલ.
સ્નેહ મીલનના આ કાર્યક્રમમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે વેતન વધારો, એન. જી. ઓ. રદ કરવા સહીતના પ્રશ્નોની ચર્ચા થયેલ. મંચસ્થ અગ્રણીઓએ જણાવેલ કે આપણા પ્રશ્નોને લઇને આગામી તા. ર૬ જાન્યુઆરી ર૦ર૦ ના ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતના જુદા જુદા જીલ્લામાંથી હજજારોની સંખ્યામાં મધ્યાન ભોજન કર્મચારીઓ ઉપસ્થિત રહેવાના હોવાનું જણાવેલ છે.