ઉનાઃ નેશનલ હાઇવેનું ત્રણ વર્ષથી ચાલતા ધીમા કામથી પ્રજા ત્રાહીમામ
ઉના તા. ૩ :.. રાજૂલા-સોમનાથ નેશનલ હાઇવે રોડનું કામ બે વરસ થી ગોકળ ગાયની ગતિએ બિસ્માર રોડથી પ્રજા પરેશાન થઇ ઉઠી છે. અમરેલી, જુનાગઢનાં સાંસદ સક્રિય થઇને લોકસભામાં રજૂઆત કરી કામ પુરૂ કરાવે તેવી માગણી ઉઠી છે.
ત્રણેક વર્ષ પહેલા ગીર સોમનાથથી ભાવનગર નેશનલ હાઇવે કામનું ખાત મુર્હૂત નેશનલ હાઇવે રોડ વિભાગના મંત્રી નીતીનભાઇ ગડકરી એ કરેલ અને બે વરસમાં કામ પુરૂ કરવા ખાતરી આપી હતી તેને આજે ૩ વરસ થવા છતાં હજુ ૪૦ ટકા રોડનું કામ થયું છે. ભાવનગર જીલ્લાના તળાજા-મહુવા - રાજૂલા -ઉના-કોડીનાર-વેરાવળ સુધી ૬૦ ટકા કામ બાકી છે. રોડ અતિ બિસ્માર થઇ જતાં ૪૦ કિ. મી. કાપતા બે કલાક થાય છે. અને ડાયવઝનને કારણે વારંવાર અકસ્માતો થાય છે.
હાલમાં કામ ગોકળ ગાઇની ગતિએ થાય છે. કોડીનારથી વેરાવળ તો કામ બંધ હોય તેવુ લાગી રહ્યું છે. ભાવનગરનાં સાંસદ સભ્ય ભારતીબેન શીયાને સંસદમાં રોડનું કામ પુરૂ કરવા રજૂઆત કરેલ છે. જુનાગઢ - ગીર સોમનાથનાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા ત્થા અમરેલી જીલ્લાનાં સાંસદ નારણભાઇ કાછડીયા રજુઆત કરી રોડનું કામ પુરૂ કરાવે તેવી માંગણી ઉઠી છે.