મોરબી તાલુકાના ચાંચાપર ખાનપર પ્રત્યે વહિવટી તંત્રનું ઓરમાયુ વર્તનઃ પ્રજાની ફરિયાદ
ખાનપર-ચાચાપર તેમજ થોરાળા ગામના પાટીયા પાસે રસ્તા પર મોટા-ગાબડા છતા તંત્ર બેધ્યાન
ચાંચાપર (મોરબી) તા.૩: મોરબી તાલુકાના વહીવટી તંત્રને ચાંચાપર-ખાનપર ગામ દવલા હોવાની પ્રજામાં બૂમ જાગી છે. તપાસ કરતા જાણવા મળે છે કે શકત શનાળાથી ખાનપર-ચાંચાપર જતા શિંગલ ડામર પટી રોડમાં ચોમાસાથી મસ મોટા ગાબડા પડેલ છે. તે રીપેર કરવાની કવાયત હાથ ધરી વહીવટી તંત્રે શકત શનાળાથી રાજપર અને રાજપરથી થોરાળા ગામના પાટીયા સુધીમાં આવતા રોડ પર ગાબડામાં કપચી અને ડામર પાથરી થિગડા મારવાનું કામ કરેલ છે. જયારે ખાનપરથી ચાંચાપર અને થોરાળા ગામના પાટીયા પાસે મસમોટા ખાડા પડયા છે તેમાં ખાડા પૂરવાનું કામ રાખી દિધેલ છે. આ વાતને ૧પ-૧પ દિવસ વિતી ગયા છે.
જેથી પ્રજા કહે છે કે ચાંચાપર-ખાનપર ગામ વહીવટી તંત્રને દવલું હશે ? ચાંચાપરના સ્ટેશન પાસે ગાબડા પડયા છે. તે રીપેરીંગ માંગતા હોવા છતાં વહીવટી તંત્રે શા માટે આંખ મિચામણા કર્યા હશે તે ભગવાન જાણે પણ હાલમાં વાહન ચાલકોને કરમે કઠણાઇ મંડાઇ રહી છે.
તેમજ ચાંચાપરથી ગાંધીનગર - ગુલાબનગર અને રામેશક્ષ્વર સુધીમાં સિંગલ પટી રડ પર ઠેક-ઠેકાણે અડધા ફુટના ખાડા પડયા છે. જે વાહનચાલકોને માથાના કઢાપા સમાન બનયા છે પણ વહીવટી તંત્રને કોણ જાણે કયા કારણસર આ ગાબડાઓ દેખાતા નથી.