જેતપુરમાં મજુરની હત્યાના આરોપીને પકડવા પોલીસની ટીમ હરીયાણા ભણી
જેતપુર તા.૩: જેતપુરના કારખાનામાં મજુરીની હત્યાના આરોપીને ઝડપી લેવા પોલીસની એક ટીમ હરીયાણા તરફ દોડી ગઇ છે.
મળતી વિગતો મુજબ અત્રેના ધારેશ્વર વિસ્તારમાં આવેલ પ્લાસ્ટીક કારખાનામાં બે દિવસ પહેલા મજુરનું મૃત્યુ થયેલ હોય તેની જાણ કારખાનાના માલીકે શહેર પોલીસને કરતા પોલીસે ડેડબોડીને પી.એમ. માટે હોસ્પિટલ ખાતે ખસેડેલ જયાં તેનું શંકાસ્પદ મોત લાગતા ફોરેન્સીક પી.એમ. માટે ડેડબોડીને મોકલેલ જેમાં તેનું મૃત્યુ ગળુ દબાવવાથી થયેલ હોવાનું બહાર આવતા પોલીસે મૃતક વેદ પ્રકાશ લક્ષ્મીચંદ (રહે. કરનાલ હરીયાણા) હાલ જેતપુર ઓમ ફાઇબર રૂના કારખાનાની હત્યા થઇ હોય તેમ તબીબની ફરિયાદ દાખલ કરી તેની તપાસ હાથ ધરતા. મોતની શંકા તેના સાથે હરીયાણાથી કામ કરવા આવેલ ગોપાલ તે દિવસથી ગુમ હોય તેની ઉપર જતા ગોપાલ હરીયાણા કરનાલ નાસી ગયેલ હોય શહેર પોલીસે ટીમ કરનાલ તેના ગામ ખાતે રવાના કરેલ છે. ગોપાલ પોલીસના હાથમાં આવ્યા બાદ હત્યા તેણે શા માટે અને કઇ રીતે કરી તે બહાર આવશે.