પોરબંદર કિર્તી મંદિરથી ટીમ ઇન્દ્રનીલ દ્વારા સાયકલ યાત્રાનું પ્રસ્થાન
૧૦૦ થી વધુ સાયકલયાત્રીઓ જોડાયાઃ ઠેર-ઠેર સ્વાગતઃ આજે રાત્રે કુતિયાણા પહોંચશે
રાજકોટ તા.૩: વર્તમાન સમયમાં લોકશાહીનું ચિરહરણ થઇ રહયું છે ત્યારે રાજકોટનાં યુવા અગ્રણી અને ઉદ્યોગપતિ અને પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ દ્વારા લોકશાહીમાં લોકજાગરણના હેતુથી ગાંધી જયંતિના પાવન દિવસે પૂજય બાપુની જન્મભુમિ પોરબંદરથી રાજકોટ સુધીની સાયકલ યાત્રાનો કિર્તીમંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. નખશીખ પ્રમાણિક ગાંધીવાદી નેતા કનુભાઇ કલસરીયા અને પોરબંદર કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
સાયકલ યાત્રાના પ્રસ્થાન પુર્વે કિર્તી મંદિર ચોકમાં જાહેરસભા યોજાઇ હતી. આ સભાને કનુભાઇ કલસરીયા, ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, રામદેવભાઇ મોઢવાડીયા, નાથાભાઇ ઓડેદરા સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતાં.
આ પ્રસંગે સાયકલ યાત્રાના સમર્થનમાં રાજકોટથી પધારેલ મ્યુ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાવઠીયા, કોર્પોરેટર અતુલ ભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, મીતુલભાઇ દોંગા, મહિલા કોર્પોરેશન ગાયત્રીેબેન રસીકભાઇ ભટ્ટ, જયાબેન ટાંક, સુરેશભાઇ તેરૈયા, હારુનભાઇ ડાકુરા, રસીલાબેન ગેરૈયા, માસુબેન હેરભા, રામભાઇ હેરભા, ભાવેશભાઇ બોરીચા, અભિષેકભાઇ તાળા, જગાભાઇ મોરી, શૈલેષભાઇ ટાંક, તુષારભાઇ નંદાણી, મચ્છાભાઇ ગોહેલ, અમુભાઇ પરમાર, રાજુભાઇ શાહ, ભરતભાઇ આહીર, રાજુભાઇ જુંજા, ભરતભાઇ ધોળકીયા, હેમતભાઇ વિરડા, યુનુસભાઇ જુણેજા, વૈશાલીબેન શીંદે, શોભનાબેન ઘેડીયા, ધર્મિષ્ઠાબેન મહેતા, રીટાબેન વડેચા, કલાબેન સોરઠીયા, અનીતાબેન સોની, તૃપ્તીબેન જોશી, અમીષાબેન ગોહેલ, વગેરે જોડાયા હતાં.
પોરબંદર કિર્તીમંદિરથી સાયકલ યાત્રાનું પ્રસ્થાન થયા બાદ વનાળા ટોલનાકા પાસે ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ અને તેની સાથેના સાયકલ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
લોકશાહીમાં લોકજાગરણ અંતર્ગત કનુભાઇ કલસરીયા અને રામદેવભાઇ મોઢવાડીયાએ ટીમ ઇન્દ્રનીલ ફોર યુને અભિનંદન આપ્યા હતા. લોકશાહીને બચાવવા માટેના આ ભગીરથ પ્રયાસને શુભેચ્છા સાથે આગળ વધવા હાકલ કરી હતી.લોકશાહીના રક્ષક બનવા માટે સારા પ્રતિનિધિને પસંદ કરવા જોઇએ. બેદરકાર તંત્ર-પક્ષ સામાજીક સમૂહની મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવવા માટેનો આ મંચ છે. સત્યના સારથી સભ્ય બની આ લોક આંદોલનમાં જોડાવા ઇન્દ્રનીલ રાજગુરુએ હાંકલ કરી હતી.
લોકજાગરણ સાયકલ યાત્રાને ઠેર-ઠેર થી આવકાર મળ્યો હતો. લોકોએ ફુલહારથી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.સાયકલ યાત્રા જયારે રાણાકંડોરણા આવી પહોંચી ત્યારે રાણાકંડોરણા ગામના આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાત્રી જમણવાર બાદ રાત્રી રોકાણ રાણાકંડોરણામાં કરવામાં આવ્યંુ હતું. તા.૩-૧૦ને બુધવારના રોજ સાયકલ યાત્રા રાણા કંડોરણાથી નિકળી કુતિયાણા પહેંચશે.(૧.૨૮)