સુરેન્દ્રનગર જિ.માં કોરોના વાયરસ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીની સમીક્ષા બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર,તા.૨:સુરેન્દ્રનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ - ૧૯ સંક્રમણના વધતા કેસોને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા વીડીયો કોન્ફોરન્સના માધ્યમથી જિલ્લા પ્રશાસનને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર કે. રાજેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સ્વૈચ્છીક – સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાની હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણીકુમાર દ્વારા શહેરી વિસ્તારમાં વધતા નોવેલ કોરોના વાયરસ કોવિડ - ૧૯ના કેસ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ જિલ્લા વહિવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સહકારથી જૂદાજૂદા પ્રયત્નો દ્વારા જનજાગૃતિ અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આ સમગ્ર કામગીરી કરવા દરેક સંસ્થા દ્વારા સહમતી પણ દર્શાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર અને સંસ્થાઓ દ્વારા આગામી તારીખ ૨જી જૂલાઈ, ૨૦૨૦ને ગુરૂવારથી જિલ્લા વહિવટી તંત્ર અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા શહેરના ટાવર રોડ, મહેતા-માર્કેટ, જવાહર ચોક, ટાંકી ચોક, માઇમંદીર રોડ,વિઠ્ઠલપ્રેસ રોડ અને સી.જે. હોસ્પીટલ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ - ૧૯ અંગેની જનજાગૃતિ અને માસ્ક તથા હોમીયોપેથીક દવાનું વિતરણ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ બેઠકમાં લાયન્સ કલબના પ્રમુખ પ્રશાંતભાઈ વ્યાસ, રોટરી કલબના પ્રમુખ દીપકભાઇ ગુજજર, વેપારી મહામંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ સંદ્યવી,ઝાલાવાડ ફેડરેશનના કમલેશભાઇ રાવલ,હોમીયોપેથી ઓસોસીએશનના ડો. નીલેષભાઇ ત્રીવેદી,આયુર્વેદીક એસોસીએશનના ડો. હીતેષ ખેર તથા અન્ય વેપારી એસોસીએસનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓએ સરકારશ્રીની માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંઘન કરવા બદલ દંડ વસૂલવાની કામગીરીને વધુ કડક બનાવવા સૂચનો પણ કર્યા હતા.(