ચરાડવાના દર્દીએ પણ કોરોનાને મ્હાત આપીઃ હળવદ તાલુકો કોરોના મુકત
હળવદ,તા.૩: તાલુકોઙ્ગ હવે કોરોના મુકત બન્યો છે. હળવદ તાલુકા માં જૂન માસમાં ચાર કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં ચારેય દર્દીઓ વારાફરતી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અગાઉ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત આવ્યા બાદ કાલે ચરાડવાના આધેડને રાજકોટ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આથી હળવદ તાલુકો હવે કોરોના મુકત થયો છે.
હળવદ તાલુકામાં અગાઉ લોકડાઉન દરમિયાન કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. લોકડાઉન દરમિયાન એકંદરે કોરોના મુકત રહેલા હળવદ પંથકમાં ૯ જુનથી કોરોનાના કેસની શરૂઆત થઈ હતી અને ૨૫ જૂન સુધીમાં ચાર કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં હળવદના ઘાંચીવાડ વિસ્તારમાં ૬૦ વર્ષના વૃદ્ઘ તથા સોનીવાળ વિસ્તારનું દંપતી અને ચરાડવા ગામના આધેડનો સમાવેશ થાય છે. જોકે અગાઉ ૬૦ વર્ષના વૃદ્ઘ અને સોની દંપતીને વારાફરતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જયારે કોરોનાના એકમાત્ર એકિટવ કેસ હળવદના ચરાડવા ગામના ૫૪ વર્ષના આધેડ રાજકોટમાં સારવાર હેઠળ હતા. તેઓ પણ સ્વસ્થ થતા તેમને આજે રાજકોટ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આમ, હવે હળવદ તાલુકો કોરોના મુકત બન્યો છે. પંથકમાં ૨૫ જૂન પછી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. દરમિયાન હળવદના એક શંકાસ્પદ દર્દીને અમદાવાદમાં ખસેડાયો છે અને તેના સેમ્પલ લેવાયા છે અને તેનો રિપોર્ટ હવે આવશે.(