સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd May 2018

મોરબી પાસે અઢી વર્ષની બાળકીની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દેવાઈ

બેલા ગામ પાસે કારખાનામાં મજુર કવાર્ટર્સમાંથી બાળકીને રાત્રે ઉઠાવી ગયા બાદ આજે નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળીઃ દુષ્કર્મ ગુજારાયાની શંકાઃ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે

રાજકોટ, તા. ૩ :. રાજ્ય અને દેશભરમાં બાળાઓ પર દુષ્કર્મ ગુજારી હત્યાના બનાવોનો સીલસીલો જારી રહ્યો છે. આજે બપોરે મોરબી નજીક અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દેવાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બેલા ગામ પાસે આવેલ કારખાનાના મજુર કવાર્ટરમાં રહેતી અઢી વર્ષની બાળકી રાત્રે ગુમ થયા બાદ કારખાનાથી દૂર આવેલ તળાવમાંથી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા મોરબીના ડીવાયએસપી બી.ડી. જોશી તથા મોરબી તાલુકાના પીએસઆઈ ગોહીલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે મૃતક બાળકીની લાશ તળાવમાંથી બહાર કાઢી ફોરેન્સીક પી.એમ. કરાવવા તજવીજ હાથ ધરી છે. મૃતક બાળકી નિર્વસ્ત્ર હાલતમાં મળતા અને તેના હોઠ અને ગુપ્ત ભાગે ઈજાના નિશાન જોવા મળતા આ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેને મોતને ઘાટ ઉતારી લાશ તળાવમાં ફેંકી દેવાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

પોલીસના જણાવ્યા મુજબ ગત રાત્રે મૃતક બાળાના માતા-પિતા લઘુશંકા કરવા ગયા હતા તે દરમિયાન કોઈ શખ્સો આ બાળકીને ઉઠાવી ગયેલ અને આજે બપોરે તેની નિર્વસ્ત્ર અને હત્યા કરાયેલ હાલતમાં તળાવમાંથી લાશ મળી આવી હતી.  મોરબીના ડીવાયએસપી બી.ડી. જોષીએ જણાવ્યુ હતુ કે, પોલીસની પ્રાથમિક તપાસમાં બાળાની હત્યા થયાનુ ખુલી રહ્યુ છે. શરીર પર ઈજાના નિશાન હોય દુષ્કર્મ ગુજારાયાની પણ શંકા છે. જો કે ફોરેન્સીક પી.એમ. બાદ જ દુષ્કર્મ ગુજારાયુ છે કે કેમ ? તે જાણવા મળશે.

(4:11 pm IST)