રાજુલા-જાફરાબાદ જીલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવોઃ આપને ફાળે એક બેઠક
રાજુલા, તા. ૩ :. રાજુલા તાલુકા પંચાયતની ૨૦ સીટ તેમજ જીલ્લા પંચાયતની ૪ સીટોમાંથી તાલુકા પંચાયતની ૧૩ તેમજ જીલ્લા પંચાયતની ૨ બેઠકો પર ભાજપે કબજો જમાવેલ છે. જ્યારે કોંગ્રેસને ફાળે રાજુલાની ૬ તાલુકા પંચાયતની બેઠક તેમજ જીલ્લા પંચાયતની ૨ બેઠકો મળેલ છે. જ્યારે રાજુલામાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટીને ફાળે ૧ બેઠક આવેલ છે. જ્યારે જાફરાબાદ તાલુકા પંચાયતમા ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૩ બેઠક મળેલ છે. જ્યારે જીલ્લા પંચાયતની બન્ને બેઠકો ભાજપને ફાળે ગયેલ છે.
આમ અમરેલી જીલ્લામાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી અને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાના માર્ગદર્શન નીચે હિરાભાઈ સોલંકી તથા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા તેમજ જીલ્લા મહામંત્રી પીઠાભાઈ નકુમ તેમજ યાર્ડના પૂર્વ પ્રમુખ અને હાલના ડીરેકટર જીજ્ઞેશભાઈ પટેલની મહેનતથી રાજુલા જાફરાબાદમાં ભાજપનો ભગવો લહેરાયેલ છે.
રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે જણાવેલ છે કે મતદારોનો ફેસલો અમોને શીરોમાન્ય છે. જો કે અમારા તમામ ઉમેદવારોએ સારી એવી ફાઈટ આપેલ છે, પરંતુ થોડા મતથી કેટલીક સીટો ગુમાવતા અમારે તાલુકા પંચાયતમાં ૬ સીટ આવેલ છે અને જાફરાબાદ તાલુકા પંચાયતની ૩ સીટ આવેલ છે, પરંતુ અમારામાં રહેલી ત્રુટીઓ દૂર કરવાનો પ્રયત્ન કરીશું.